Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

૩૦ વર્ષમાં ગુજરાતથી અલગ પડી કચ્છ ફરી એકવાર ટાપુ બની જશેઃ સુરતમાં પાણી પ્રવેશસે

૨૦૫૦ સુધીમાં સુરત-ચેન્નાઇ-કોલકતા-મુંબઇના વિસ્તારો પાણીમાં ડૂબી જશેઃનેચર કોમ્યુનીકેશનનો ચોંકાવનારો રીપોર્ટ : દરિયાની વધતી સપાટીથી ગુજરાતને સૌથી વધુ ખતરોઃ સતત કાર્બન ફેલાવાથી ગંભીર સ્થિતિ સર્જાશે

નવી દિલ્હી, તા.૧:ગઇકાલે એવા સમાચાર આવ્યા હતા કે ભયાનક કુદરતી આફતને લીધે આવતા ૫૦ વર્ષમાં મુંબઇ અને કોલકત્તા જેવા શહેરોને દરીયો ગળી જશે. દરીયાના વધતા જળના સ્તરથી ભારતને ૭ ગણો વધુ ખતરો છે. ગ્લોબલ કોમ્યુનીકેશનના રીપોર્ટમાં એવો દાવો કરાયો છે કે એવી આશંકા વ્યકત થઇ છે કે કચ્છ ફરી એક વખત ગુજરાતથી અલગ  થઇને એક ટાપુ બની જશે. ૨૦૫૦ સુધીમાં સુરત-ચેન્નાઇ-કોલકતા-મુંબઇના સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ફળી વળશે. વિશ્વમાં કાર્બન વાયુનો ફેલાવો વધતો જતો હોય, આ  સ્થિતિ સર્જાવા ભય છે.

એક સમયે હજારો વર્ષ પહેલા કચ્છ ગુજરાતની ધરતીનો અખંડ ભાગ નહીં પણ ગુજરાતના દરિયામાં આવેલ એક ટાપુ હતો. ફરી એકવાર કચ્છ આવો જ એક ટાપુ બનાવ તરફ આગળ વધી રહ્યો છે. નેચર કોમ્યુનિકેશન જર્નલના ઓકટોબર ૨૦૧૯ના અંકમાં પ્રસિદ્ઘ કરવામાં આવેલ એક અહેવાલ અનુસાર આગામી ૩૦ વર્ષ એટલે કે ૨૦૫૦ સુધીમાં દરિયાની સપાટીમાં એટલો વધારો થશે કે ફરી કચ્છ એક ટાપુ બની જશે અને હાલ સુરતથી દૂર રહેલા દરિયાના પાણી સુરત શહેરની લિમિટમાં પ્રવેશ કરશે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં દરિયાની સપાટીમાં થઈ રહેલા વધારાના નવા ડેટાને જોતા દરિયા કિનારાનું ધોવાણ અને સપાટીમાં વધારો ૩ ગણી ઝડપે થઈ રહ્યો છે. જેથી ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં દરિયાની સપાટી હાલ કરતા ૨ મીટર જેટલી વધી શકે છે અને તેના કારણે ૩૪ કરોડ લોકોને તેની અસર પહોંચી શકે છે.

આ અસરગ્રસ્તો પૈકી ૭૦ ટકા લોકો એશિયન દેશો પૈકી હશે તેમાં પણ એશિયાના ૮ દેશો ભારત, ચીન, બાંગ્લાદેશ, વિએતનામ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ અને જાપાન સૌથી વધુ અસરગ્રસ્ત બનશે. જયારે ભારતમાં કલાઇમેન્ટ ચેન્જ અને દરિયાની સપાટી વધાવાના કારણે થનાર નુકસાનની અસર ગુજરાત પર સૌથી વધુ જોવા મળશે કારણ કે ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ૧૬૧૭km ધરાવતું રાજય છે.

આ અહેવાલ મુજબ ગુજરાતમાં પણ કચ્છ, સુરત, ભાવનગર અને ભરુચને દરિયાઈ સપાટી વધવાથી સૌથી વધુ નુકસાન પહોંચશે. જેમાં સુરત અને ભરુચમાં દરિયો શહેરની હદમાં પ્રવેશસે તો પેટ્રો કેમિકલ ઉદ્યોગના હબ ગણાતા દહેજ અને હઝિરા તેમજ કંડલા બંદરના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બનશે. જયારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં આ દરિયાઈ સપાટી વધવાની સમસ્યાની વધતાઓછા પ્રમાણમાં અસર થશે.

આ પહેલા પણ અનેક અભ્યાસમાં કલાઈમેન્ટ ચેન્જના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને સૌથી વધુ નુકસાનની વાત કરવામાં આવી છે. જે પૈકી એક શોધ અભ્યાસ તો ઈસરો અને નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટર મેનેજમેન્ટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ નેચર કોમ્યુનિકેશનમાં છાપવામાં આવેલ અહેવાલ મુજબ નુકસાન જેટલું ધારવામાં આવ્યું છે તેના કરતા વધુ ગંભીર થશે. સ્થાનિક નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આપણા માટે આ મોર્નિંગ એલાર્મ જેવું છે સમયસર જાગી જઈશું તો વધુ સારું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના દરિયાકાંઠાનું સતત ધોવાણ, દરિયા કિનારેથી મેનગ્રોવ્સનું નિકંદન, આડેધડ ખોદકામ અને જમીનના તળમાંથી સતત ભૂગર્ભ જળ ઉલેચવાના કારણે પર્યાવરણ પર તેની ખૂબ જ વિપરિત અસર પડી રહી છે. આગા ખાન રુલર સપોર્ટ પ્રોગ્રામ(ઈન્ડિયા)ના CEO અપૂર્વા ઓઝાએ કહ્યું કે 'આજે સમયની જરુરિયાત છે કે આપણે તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોનો એક નકસો તૈયાર કરીએ અને તેના આધારે આવતીકાલને બચાવવા માટે આજથી જ પગલા ભરવા શરુ કરી દઈએ.'

(3:29 pm IST)