Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

નીતીશકુમાર સરકારને ઝટકો :અમલદારશાહીથી નારાજ થઇ મંત્રી મદન સાહનીએ આપ્યું રાજીનામુ

મદન સાહનીએ કહ્યુ કે, ઘર અને ગાડી લઈને શું કરીશ જ્યારે જનતાની સેવા કરી શકતો નથી. અધિકારી મારૂ સાંભળશે નહીં તો જનતાની સેવા કઈ રીતે કરીશ ?

પટનાઃ બિહારની નીતીશ કુમાર સરકારને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર સરકારના સમાજ કલ્યાણ મંત્રી મદન સાહનીએ રાજીનામાની જાહેરાત કરી દીધી છે. સાહનીએ અમલદારશાહી સામે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપવાની વાત કહી છે. મદન સાહનીએ કહ્યુ કે, ઘર અને ગાડી લઈને શું કરીશ જ્યારે જનતાની સેવા કરી શકતો નથી. જ્યારે અધિકારી મારૂ સાંભળશે નહીં તો જનતાની સેવા કઈ રીતે કરીશ. જો જનતાનું કામ ન કરી શકું તો મંત્રી પદે રહેવાનો કોઈ અર્થ નથી.

સાહનીએ ટ્રાન્સફર પોસ્ટિંગમાં નજર અંદાજનો આરોપ લગાવ્યો છે. કહ્યું કે, નીતીશ કુમારના નજીકના અધિકારીઓએ ખુબ સંપત્તિ બનાવી છે. મદન સાહનીએ સીએમ નીતીશ કુમારના નજીકી ચંચલ કુમારની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી છે

મદન સાહનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, અમે લોકો વર્ષોથી તાનાશાની સહન કરી રહ્યાં છીએ, હવે તે સહન થઈ શકતી નથી. સાહનીએ કહ્યુ કે, તેથી અમે મન બનાવી લીધુ છે કે રાજીનામુની ઓફર કરી છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે કોઈનું ભલુ ન કરી શકીએ તો અમે માત્ર સુવિધા લેવા બેઠા નથી. પાર્ટીમાંથી રાજીનામાના સવાલ પર સાહનીએ કહ્યુ કે, પાર્ટીમાં રહીશ અને મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં પણ રહીશ.

મદન સાહનીએ વિભાગના અધિક મુખ્ય સચિવ અતુલ પ્રસાદ પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. સાહનીએ કહ્યુ કે, વિભાગમાં મંત્રીઓનું કોઈ સાંભળતુ નથી. બધા નિયમ-કાયદાના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યાં છે. સમાજ કલ્યાણ વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી જામેલા છે અને મનમાનીથી કામ કરી રહ્યાં છે. તેને હટાવવાની જ્યારે વાત કહી તો અધિક મુખ્ય સચિવે સાંભળવાનો ઇનકાર કરી દીધો. મંત્રીએ કહ્યું કે, આ માત્ર મારી સ્થિતિ નથી પરંતુ બિહારમાં કોઈપણ મંત્રીનું કોઈ અધિકારી સાંભળતું નથી. તે બધા જાણે છે કે જૂન મહિનામાં અધિકારીઓ જે 3 વર્ષથી એક જ જગ્યાએ છે, તેની બદલી થાય છે. અમે આ બધા અધિકારીઓનું લિસ્ટ અધિક મુખ્ય સચિવની સામે રાખ્યુ પરંતુ તેને જોનારૂ કોઈ નથી.

(8:43 pm IST)