Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુશાંતસિંહ રાજપૂતના શરીરમાં કોઇપણ પ્રકારનું શંકાસ્‍પદ કેમિકલ કે ઝેર મળ્‍યુ નથીઃ વિસેરા રિપોર્ટમાં પણ ફાંસો ખાવાથી મોત થયાનું ખુલ્‍યુઃ મુંબઇ પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ હાથ ધરી રહી છે. હાલમાં જ સામે આવેલા ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોલીસને જાણવા મળ્યું હતું કે ફાંસો ખાવાના કારણે જ સુશાંતનું મૃત્યુ થયું હતું. 5 ડોક્ટરોની ટીમે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ પોલીસ વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી હતી. અને હવે આ રિપોર્ટ પણ સામે આવી ગયો છે.

આ રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંત સિંહના શરીરમાં કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ કેમેકિલ કે ઝેર મળી આવ્યું નથી. અત્રે જણાવવાનું કે પોસ્ટમોર્ટમ બાદ વિસરાને જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું હતું. મંગળવારે તેનો રિપોર્ટ સામે આવ્યો. આ બાજુ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તેના મિત્રો અને તેના ઓળખીતાઓને પૂછપરછ કરી રહી છે.

આ જ કડીમાં મંગળવારે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની અભિનેત્રી સંજના સાંધી સાથે મુંબઈ પોલીસે પૂછપરછ કરી. આ અગાઉ યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાઈરેક્ટરની પૂછપરછ થઈ હતી. પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે એક્ટરની કોઈની સાથે વ્યવસાયિક દુશ્મની હતી કે નહીં. જેના કારણે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં જતો રહ્યો. અત્રે જણાવવાનું કે સુશાંતે 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

(5:14 pm IST)