Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

માર્ગ અકસ્માતના પીડિતોને ૨.૫૦ લાખ સુધીની મફત કેશલેસ સારવાર અપાશે

સરકાર ટુંક સમયમાં રજુ કરશે યોજના

નવી દિલ્હી, તા.૧: રોડ અકસ્માતનો ભોગ બનેલા પીડિતોને મોટી રાહત આપવાની બાબતમાં, સરકાર 'ગોલ્ડન અવર' સહિતની પરિસ્થિતિમાં દરેકને તાત્કાલિક તબીબી સંભાળની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવા માટે ૨.૫૦ લાખ રૂપિયા સુધીની મફત કેશલેસ સારવાર આપશે. આ પોલિસીમાં વિદેશી નાગરિકોને પણ આવરી લેવામાં આવશે. સરકાર આ યોજના ટૂંક સમયમાં લાગુ કરી શકે છે. જેમાં અકસ્માતના દરેક પીડિતને ૨.૫૦ લાખ સુધીની મફત કેશલેસ સારવાર મળશે.

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)માં પ્રવેશ કર્ચો છે, જે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના લાગુ કરી રહી છે. જેથી ઈજાગ્રસ્તોની સારવાર બાદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કલેમની પ્રક્રિયા કરાશે. યોજના ચલાવવા માટે આઈટી પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી પોતાના યોગદાનથી અને જનરલ ઇન્શ્યોરન્સ કંપની (જીઆઈસી) તરફથી મોટર વ્હીકલ રિલીફ ફંડ સ્થાપિત કરશે.

મિનિસ્ટ્રી મુજબ જનરલ ઈન્શ્યોરન્સ કંપની (GIC) વીમા કરાયેલા વાહનોના અકસ્માતો અને હિટ એન્ડ રનમાં પીડિત લોકોનો ખર્ચ ઉઠાવશે. જયારે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી અન ઈન્શ્યોરડ વ્હીકલ ક્રેશનો ખર્ચ ઉઠાવશે. જોકે, આ પોલિસીનો હેતુ ગરીબ લોકોને રાહત આપવાનું છે જે તબીબી સંભાળ માટે હોસ્પિટલોમાં અગાઉથી ચુકવણી કરી શકતા નથી. પ્લાન મુજબ નેશનલ હેલ્થ ઓથોરિટી યોજનાના અમલીકરણ અને કલેમના સેટલમેન્ટ માટે ડેડિકેટેડ સેલ સ્થાપિત કરશે.

વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં લગભગ ૧.૪૯ લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને લગભગ પાંચ લાખ લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, લગભગ ૧૫% જેટલી જાનહાનિ 'હિટ એન્ડ રન' કેસોને કારણે છે. આ બધી વાતો ધ્યાનમાં રાખીને આ પગલાને મહત્ત્વ મળશે. લો કમિશનના રિપોર્ટ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર તબીબી સંભાળની ખાતરી આપીને લગભગ ૫૦% મૃત્યુ ટાળી શકાય છે.

(10:52 am IST)