Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જમ્મુ કાશ્મીરમાં ૨૦ ત્રાસવાદી ઘુસ્યા : મોટા હુમલાઓનો ભય

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ એલર્ટની જાહેરાત કરાઈ : આગામી બે ત્રણ દિવસ દરમિયાન સેના અથવા તો સેનાના કોઇ મોટા સ્થળ પર આત્મઘાતી હુમલો થઇ શકે : હિટ એન્ડ રન પ્રકારના હુમલાઓનો ભય

નવીદિલ્હી,તા. ૧ : જમ્મુ કાશ્મીરમાં ૨૦થી વધારે ખતરનાક ત્રાસવાદીઓ ઘુસી ગયા હોવાના ઇન્ટેલિજન્સ અહેવાલ બાદ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર ઉપરાંત દેશના કેટલાક અન્ય ભાગોમાં પણ આત્મઘાતી હુમલાની દહેશત દેખાઇ રહી છે. ગુપ્તચર હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સુરક્ષા દળો પર અને ખાસ કરીને સેનાને ટાર્ગેટ બનાવીને કોઇ મોટો હુમલો કરવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાંથી આશરે ૨૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી ચુક્યા છે. આ ઇન્ટેલિજન્સ હેવાલ બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. દિલ્હીમાં પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. સુરક્ષા સંસ્થાઓએ ચેતવણી જારી કરતા કહ્યુ છે કે ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આવનાર બે ત્રણ દિવસના ગાળામાં સેના અથવા તો તેની કોઇ છાવણી પર હુમલો કરવામાં આવી શકે છે. સુરક્ષા દળોએ એવી શંકા પણ વ્યક્ત કરી છે કે આ હુમલો હિટ એન્ડ રન પ્રકારનો હોઇ શકે છે. અત્રે નોંધનીય છે કે રમજાનના પવિત્ર મહિના દરમિયાન ભારત સરકારે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી ત્રાસવાદી ગતિવિધીમાં સતત વધારો થયો છે. ત્રાસવાદીઓને સરહદમાં ઘુસાડી દેવા માટે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો સતત ભંગ કરીને અવિરત ગોળીબાર કરવામાં આવ્યો છે. બુધવારના દિવસે સેનાની એક પેટ્રોલ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી ગયેલા ત્રાસવાદીઓ પૈકી મોટા ભાગના ત્રાસવાદીઓ જેશના હોવાના હેવાલ મળ્યા છે. સુંજવાન અને પઠાણકોટ હુમલાથી બોધપાઠ લઇને સેનાએ આ વખતે કોઇ ભુલ ન કરવાનો નિર્ણય કર્યો છે. તમામ પેટ્રોલિંગ પાર્ટી અને ચોકીઓની સાથે સાથે સેનાના મોટા સ્થળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને હથિયારોના ભંડાર પર નજર રાખવામાં આવી રહી છે. એવી શંકા છે કે કોઇ ત્રાસવાદી હુમલો કરીને ભાગી જવાની અથવા તો આત્મઘાતી હુમલો કરવાની યોજના રહેલી છે. પુલવામાના ઇદગાહ જતી વેળા ત્રાસવાદીઓએ સીઆરપીએફની ૧૮૩મી બટાલિયન પર હુમલો કરવામાં આવ્યો હતો. બંકર પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઇના ઘાયલ થયા હોવાના હેવાલ આવ્યા નથી. ગોળીબારની ઘટના બાદ સીઆરપીએફ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ત્રાસવાદીઓના અડ્ડાઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક લોકોની અંદર ઘુસી ગયેલા ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ચાલી રહ્યુ છે.

(7:41 pm IST)