Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું ૩૧ ઓકટોબરે લોકાર્પણઃ પ્રચારનું રણશિંગુ ફૂંકશે મોદી

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે ભવ્‍યાતિભવ્‍ય કાર્યક્રમ યોજાશેઃ તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ અને સાર્ક તથા આશીયાન દેશોના વડાઓને પણ આમંત્રણ અપાશે : મોદી લોકાર્પણની સાથે જ લોકસભાની ચૂંટણીના ૬ મહિના પૂર્વે જ ભાજપના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશેઃ લોકાર્પણ સમારોહની બ્રાન્‍ડીંગ પણ ભવ્‍યાતિભવ્‍ય કરાશે

નવી દિલ્‍હી, તા. ૧ : લોકસભાની ચૂંટણી આડે હવે ૧ વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં જ્‍યાં ભાજપ સરકાર પોતાના શાસનના ૪ વર્ષ પુરા થવાના કાર્યક્રમોમાં પોતાની છબી ચમકાવવામાં લાગી છે તો પક્ષે પણ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ સરદાર પટેલ જયંતિ ૩૧ ઓગષ્‍ટથી કરવા જઈ રહેલ છે. જાણવા મળેલ છે કે પીએમ મોદી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા... સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે. એક તિરથી બે નિશાના સાધશે એટલે કે ઉપલબ્‍ધિની સાથે સાથે પટેલોને પણ રાજી કરવાનો પ્રયાસ કરશે.

લોખંડી પુરૂષ સરદાર પટેલની ૧૪૩ મી જયંતિના પ્રસંગે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયામાં સિંધુ બેટ સ્‍થિત સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે. જેને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સ્‍વરૂપે જોવામાં આવી રહી છે. પીએમ મોદી પોતાના આ મહત્‍વકાંક્ષી પ્રોજેકટના લોકાર્પણની સાથે જ લોકસભાની ચૂંટણીના લગભગ ૬ મહિના પૂર્વે પોતાના પક્ષના ચૂંટણી પ્રચારના અભિયાનનો પ્રારંભ કરશે. એ દરમિયાન મ. પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્‍થાનની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે.

પક્ષના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહનું બ્રાન્‍ડીંગ પણ ભવ્‍યાતિભવ્‍ય કરવામાં આવશે. તમામ રાજ્‍યોના મુખ્‍યમંત્રી તથા અન્‍ય મહાનુભાવોને નિમંત્રણ મોકલાશે. એટલુ જ નહિ કોઈપણ કાર્યક્રમને ગ્રાન્‍ડ શો માં પરિવર્તીત કરવાવાળા પક્ષ ભાજપ તરફથી પાકિસ્‍તાનને બાદ કરતા સાર્ક તથા દક્ષિણ પૂર્વ એશિયાના રાષ્‍ટ્રોના સંગઠન આશીયાન દેશોના વડાઓને પણ નિમંત્રણ મોકલશે.

અત્રે એ નોંધનીય છે કે, ગુજરાતના સીએમ હતા ત્‍યારે મોદીએ ૩૧ ઓકટોબર ૨૦૧૩ના રોજ તેનુ ભૂમિપૂજન કર્યુ હતુ ત્‍યારે મોદીએ દેશભરના ખેડૂતોને લોઢાના સ્‍ક્રેપ માટે હાકલ કરી હતી. ૧૩૫ ટન સ્‍ક્રેપ મેળવાયુ હતું. હવે આ પ્રતિમા અંતિમ ચરણમાં છે.

(11:12 am IST)