Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાને નાથવા મોદી મેદાનમાં: આકરા પગલાઓ આવી રહ્યા છે

કોરોનાની બીજી લહેરને શાંત પાડવા ટુંક સમયમાં જાહેર થશે કેન્દ્રિય પગલાઓ : નવી ગાઇડલાઇન્સ બહાર પડશેઃ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૩ પગલા હશેઃ નવા પ્રોટોકોલ અને કોરોના કરફયુ (મીની લોકડાઉન) લદાશેઃ ૧૫૦ જીલ્લાઓ માટે થઇ છે ભલામણ

નવી દિલ્હી, તા.૧: કોરોનાની બિહામણી બનેલી બીજી લહેરને શાંત પાડવા હવે વડાપ્રધાન મોદીએ ખુદ દોર પોતાના હાથમાં લીધો છે. જે હેઠળ તેઓ એકધારી બેઠકો યોજી રહયા છે. જે -જે રાજયો અને તેના વિસ્તારોમાં કોરોનાનો વધુ પ્રકોપ છે ત્યાં કડકમાં કડક પગલાઓ આવી રહયા હોવાના સંકેતો મળી રહયા છે. લોકડાઉન - રાત્રી કર્ફયુ -મીની લોકડાઉન - દિવસની સંચારબંધી જેવા પગલાઓનો તેમાં સમાવેશ હશે. દેશના ૧૫૦ જેટલા જીલ્લાઓમાં આ આકરા પગલાઓ અમલી બનાવાય તેવી શકયતા છે. સરકાર દ્વારા મે મહિના માટેની ગાઇડલાઇન્સ તૈયાર થઇ રહી છે જે અંગે ટુંક સમયમાં જાહેરાત થશે. હાલ નોર્થ બ્લોકમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે. આવતીકાલે ચૂંટણીના પરિણામો બાદ દેશવ્યાપી આકરા પ્રતિબંધોની જાહેરાત થાય તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, છત્તીસગઢ, દિલ્હી સહિતના રાજયોમાં પ્રતિબંધાત્મક આદેશો અમલી છે ત્યારે આ રાજયો માટે કઇ કઇ જાહેરાત થાય છે તે જોવાનું રહયું.

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ગત ૨૪ કલાકમાં ૪ લાખ નવા કેસ આવ્યા છે. જેને જોતા કેન્દ્ર સરકારે ગુરુવારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે તે વધારે સંક્રમણવાળા જિલ્લાઓ અને વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા લાગૂ કરવામાં આવેલા દિશા નિર્દેશ જારી કર્યા છે અને સાથે તે જિલ્લાઓની ઓળખ કરવાનું કહ્યુ છે જયાં ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે હતો જયાં હોસ્પિટલમાં ૬૦ ટકાથી  વધારે બેડ ભરાયેલા છે.

કેન્દ્ર દ્વારા જારી ગાઈડલાઈન પહેલાથી અનેક રાજયોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. જે લોકડાઉન જેવા છે. જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ સહિત અનેક રાજયોમાં લોકોની સુરક્ષા માટે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા મિની લોકડાઉનનો સમય વધારી દીધો છે. ગુરુવારે રાજયના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. તેમણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે લોકડાઉન જેવા પ્રતિબંધો ૧૫ મે સુધી વધારી દેવામાં આવી છે.  જેથી રાજયોમાં કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

ગુજરાતમાં હવે ૨૦ની જગ્યાએ રાજયના ૨૯ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ ૨૮મી એપ્રિલથી લાગૂ આ ૫ મે સુધી અમલમાં રહેશે.  આ ઉપરાંત રાજયમાં અને ૨૯ શહેરોમાં કેટલાક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજયમાં તમામ APMC બંધ રહેશે, APMCમાં માત્ર શાકભાજી અને ફળનું વેચાણ થશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે દોડશે, અનાજ, કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર ચાલુ રહેશે, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્ય પદાર્થની દુકાનો ચાલુ રહેશે, ૨૯ શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ બંધ રહેશે, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, બાગ-બગીચા બંધ રહેશે, સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર, એમ્યુઝમેન્ટ પ્રવૃતિ બંધ રહેશે, રાજયમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ, લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ વ્યકિત હાજર રહી શકશે જયારે અંતિમવિધિમાં માત્ર ૨૦ લોકો જ હાજર રહી શકશે. ગાઇડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ હતો. હવે તે શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કર્ફ્યુ રહેશે.

યુપીમાં કોરોનાનો કહેર જોતા વીકેન્ડ લોકડાઉનમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં શુક્રવારે રાતના ૮થી મંગળવાર સવારના ૭ વાગ્યા સુધી લોકડાઉન રહેશે.  તેમજ રાતના કર્ફ્યૂ સમયે વ્યકિતઓની અવરજવરને અને સાથે જરૂરી ક્રિયાઓને લઈને પગલા લેવાશે. સામાજિક, રાજકીય, રમત ગમત, મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક, ધાર્મિક ઉત્સવ  સંબંધિત કાર્યક્રમોને અને ભીડ તથા સભાઓને પ્રતિબંધિત રખાશે. તમામ શોપિંગ કોમ્પેલેકસ, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, રમત કોમ્પલેકસ, જિમ, સ્પા, સ્વીમિંગ પુલ અને ધાર્મિક સ્થાનોને બંધ કરાશે. ૩ દિવસના લોકડાઉન દરમિયાન જરુરી સેવાઓ જેમ કે મેડિકલ શોપ, કલીનિક, હોસ્પિટલ, દૂધ અને શાકભાજીની દુકાનોને પરવાનગી રહેશે.

બિહારમાં નીતિશ સરકારે બુધવારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે  નવી ગાઈડલાઈન જારી કરી છે. આ અનુસાર સાંજે ૬ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન રાજયમાં કલમ ૧૪૪ લગાવાવનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે લગ્ન સમારોહમાં વધારેમાં વધારે ૫૦ લોકો ભાગ લઈ શકશે. ત્યારે અંતિમ સંસ્કારમાં વધારેમાં વધારે ૨૦ લોકો સામેલ થઈ શકશે.

રાજસ્થાનમાં ગત અઠવાડિયે એક વાર ફરી ગહેલોત સરકારે વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ અંતર્ગત શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારના ૫ વાગ્યા સુધી પૂર્ણ રુપે વીકેન્ડ કર્ફ્યી લાગૂ રહેશે. આ દરમિયાન શનિ-રવિ પૂર્ણ લોકડાઉન રહેશે. સરકાર તરફથી જારી નવી ગાઈડલાઈનના દ્યણા પ્રતિબંધોને જોડવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશમાં ભોપાલ સહિત છિંડવાડા, રતલામ, સાગર અને જબલપુરમાં જારી પ્રતિબંધોને વધારી દીધા છે. ભોપાલમાં હવે ૩જી સુધી લોકડાફન જેવા પ્રતિબંધો લાગૂ રહેશે. ત્યારે છિંદવાડા, રતલામ, સાગર અને જબલપુરમાં આ પ્રતિબંધો ૧ મે સુધી રહેશે.

તમિલનાડુ સરકારે ઝડપથી વધતા કોરોનાને રોકવા નાઈટ કર્ફ્યૂ વધારી દીધું છે અને આગામી રવિવાર એટલે કે ૨ મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.  તમિલનાડુ સરકારે રવિવારે પૂર્ણ લોકડાઉન અને તમામ દિવસોમાં રાત્રિ કર્ફ્યૂને આગલા આદેશ સુધી વધારી દીધું છે. રાતના કર્ફ્યૂને આવનારા આદેશ સુધી રાતના ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી સમગ્ર રાજયમાં લાગૂ કરવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે મોદી કેબિનેટની બેઠક યોજાઇ તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આંશિક લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ ગૃહ મંત્રાલયને કયાં શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરવું જરૂરી છે તેનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઈનમાં પણ સુધારો કરવા મોદીએ સૂચન કર્યું છે. તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરાશે.

ગૃહ મંત્રાલય સોમવાર સુધીમાં આ રિપોર્ટ આપી દેશે ત્યારબાદ ગૃહ મંત્રાલયના માધ્યમથી જ આ જિલ્લા અને શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ રાજયોને મોકલી અપાશે. રવિવારે પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી થવાની છે. મોદીએ કેબિનેટની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતા અને ખાસ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ અત્યારથી માનસિક રીતે તૈયાર રહે અને હોમ વર્ક કરવા માંડે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૦૧,૯૯૩ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૯૧,૬૪,૯૬૯ પર પહોંચ્યો છે. જયારે ૧,૫૬,૮૪,૪૦૬ લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં ૩૫૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૨,૧૧,૮૫૩ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં ૩૨,૬૮,૭૧૦ લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં ૧૫,૪૯,૮૯,૬૩૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર દ્વારા જારી ગાઈડલાઈન પહેલાથી અનેક રાજયોમાં કડક પ્રતિબંધો લગાવાયા છે. જે લોકડાઉન જેવા છે. જેમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ સહિત અનેક રાજયોમાં લોકોની સુરક્ષા માટે લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા મિની લોકડાઉનનો સમય વધારી દીધો છે. ગુરુવારે રાજયના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંબંધમાં આદેશ જારી કર્યો છે. તેમણે જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે લોકડાઉન જેવા પ્રતિબંધો ૧૫ મે સુધી વધારી દેવામાં આવી છે. જેથી રાજયોમાં કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

(3:06 pm IST)