Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભારત રેમડેસિવિરના સાડા ચાર લાખ ઈન્જેક્શનની આયાત કરશે

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે તંગી : ૭૫૦૦૦ ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચ્યું

નવી દિલ્હી, તા. ૩૦ : ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે ૭૫૦૦૦ ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચ્યું હતું.

ભારત સરકારની માલિકીની કંપની એચએલએલ લાઇફકેર લિમિટેડે અમેરિકામાં મેસર્સ જિલીડ સાયન્સિસ ઇક્ન યુએસએ અને ઇજિપ્તની ફાર્મા કંપની મેસર્સ ઇવા ફાર્માને રેમડેસિવિરના ૪,૫૦,૦૦૦ ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇક્ન. યુએસએ ૭૫,૦૦૦થી ૧,૦૦,૦૦૦ ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે.  ઉપરાંત ૧૦૦૦૦૦ ઇન્જેક્શન ૧૫ મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે. ઇવા ફાર્મા અંદાજે ૧૦,૦૦૦ ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર ૧૫ દિવસે કે જુલાઈ સુધીમાં ૫૦,૦૦૦ વાયલ પ્રદાન કરશે.

સરકારે દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા વધારી છે. ૨૭.૦૪.૨૧ સુધી લાઇસન્સ ધરાવતી સાત સ્થાનિક કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા દર મહિને ૩૮ લાખથી વધારીને દર મહિને ૧.૦૩ કરોડ કરી છે. છેલ્લાં સાત દિવસ (૨૧થી ૨૮ એપ્રિલ, ૨૦૨૧)માં દવા ઉત્પાદક કંપનીઓએ સમગ્ર દેશમાં કુલ ૧૩.૭૩ લાખ ઇન્જેક્શન પૂરા પાડ્યાં છે.

૧૧ એપ્રિલના રોજ રોજિંદો પુરવઠો ૬૭,૯૦૦ ઇન્જેક્શનનો હતો, જે ૨૮ એપ્રિલ, ૨૦૨૧ના રોજ વધીને ૨.૦૯ લાખ ઇન્જેક્શન થયો હતો. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેમડેસિવિરના પુરવઠાની સરળ અવરજવર માટે સુવિધા આપવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સરકારે ભારતમાં રેમડેસિવિરની નિકાસ વધારવા પર પ્રતિબંદ પણ મૂક્યો છે. લોકોને ઇન્જેક્શન વાજબી દરે મળે એ સુનિશ્ચિત કરવા એનપીપીએએ ૧૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ મહત્તમ છૂટ કિંમતમાં સુધારો જાહેર કર્યો હતો, જેના લીધે તમામ મુખ્ય બ્રાન્ડની કિંમત ઇન્જેક્શન દીઠ ઘટીને રૂ. ૩૫૦૦ થઈ છે.

રેમડેસિવિર ના ઊંચા ઉત્પાદન અને ઉપલબ્ધતાની સુવિધા આપવા મહેસૂલ વિભાગે ૨૦ એપ્રિલના રોજ અધિસૂચના ૨૭/૨૦૨૧-કસ્ટમ્સ દ્વારા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ સુધી રેમડેસિવિરના ઉત્પાદનમાં ઉપયોગી, એના એપીઆઈ અને બીટા સાયકલોડેક્સટ્રિન પર કસ્ટમ ડ્યુટી માફ કરી છે.

રાષ્ટ્રીય સારવાર આચારસંહિતાને એમ્સ/આઇસીએમઆર – કોવિડ-૧૯ નેશનલ ટાસ્ક ફોર્સ/આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત નિરીક્ષક જૂથ દ્વારા ૨૨.૦૪.૨૦૨૧ના રોજ કોવિડ ૧૯ના પુખ્ત દર્દીઓના વ્યવસ્થાપન માટે નૈદાનિક વ્યવસ્થાપન દ્વારા સુધારવામાં આવી હતી. આ સંશોધિત આચારસંહિતા દવાઓના ન્યાયી અને ઉચિત ઉપયોગને પ્રોત્સાહન આપશે તેમજ માગને તર્કબદ્ધ કરવા પ્રદાન કરશે એવી અપેક્ષા છે.

(12:00 am IST)