Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

માયાવતી અને અખિલેશ યાદવના કન્ટ્રોલર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે

બારાબંકી અને બદાયુમાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો : સપા અને બસપા ઉપર આક્ષેપો કર્યા : ગઠબંધનના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ભયભીત હોવાનો રાહુલ ગાંધીએ કરેલો આક્ષેપ

બારાબંકી, તા. ૧ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે બારાબંકીમાં સભા યોજી હતી. સમાજવાદી પાર્ટી અને બસપા પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા તા. રાહુલ ગાંધીએ ક્હયું હતું કે, માયાવતી અને અખિલેશ યાદવના કન્ટ્રોલર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે. રાહુલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી તેમના પર કોઇપણ રીતે દબાણ લાવી શકે તેમ નથી. સપા અને બસપા પર દબાણ લાવી શકે છે. જો કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે સપા અને બસપાને ઓછીરીતે ટાર્ગેટ ઉપર લીધા હતા. આ પહેલા બદાયુમાં એક જનસભાને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, સપા અને બસપાની નીતિ ખતરનાક રહેલી છે. સપા અને બસપાને ડરપોક તરીકે ગણાવીને રાહુલે કહ્યું હતું કે, આ તમામ લોકો મોદીથી ભયભીત થયેલા છે અને તેમની સામે કોઇ નિવેદન કરી શકતા નથી. કોંગ્રેસ પાર્ટીએ ભાજપની સામે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો છે પરંતુ સપા અને બસપાના નેતાઓ દ્વારા આ નારો ક્યારે પણ લગાવવામાં આવ્યો નથી. આના કારણ આપતા રાહુલે કહ્યું હતું કે, તમામ લોકો મોદીથી ખુબ જ ભયભીત દેખાઈ રહ્યા છે. રાહુલના આ નિવેદન ઉપર અખિલેશ યાદવે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ કોંગ્રેસને વિશ્વાસઘાતી તરીકે ગણાવીને આક્ષેપ કર્યો છે કે, તેમના અને તેમના પિતા મુલાયમસિંહ યાદવની સામે સીબીઆઈનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપને એક ગણાવીને અખિલેશે કહ્યું હતું કે, કોઇનાથી કોઇ ભય નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થવાને લઇને અટકળો ચાલી રહી હતી. કોંગ્રેસને કેટલીક બેઠકો આપવાના મુદ્દે પણ વાત થઇ હતી. આખરે કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ કરવામાં આવી ન હતી. જેથી કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.

(7:56 pm IST)