Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મસ્જિદ ખાલી કરવા તૈયાર નહોતા મૌલાના : અડધી રાતે ડોભાલે પાર પાડયું 'ઓપરેશન મરકજ'

હવે મરકજમાં સામેલ થયેલા લોકોને શોધવાની કામગીરી કરાશે

નવી દિલ્હી તા. ૧ : દિલ્હીની નિઝામુદ્દિન મરકાઝમાં તબલીગ જમાતના અધિવેશનના કારણે સંખ્યાબંધ રાજયોમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. દિલ્હી પોલીસ તથા સલામતી એજન્સીઓએ વારંવાર મરકાઝના અગ્રણીઓને આ અધિવેશનમાં આવેલા લોકોને રવાના કરવા ચેતવણી આપી હતી પરંતુ મરકાઝના અગ્રણીઓ ટસના મસ થયા ન હતા. આખરે નેશનલ સિકયુરિટી એડવાઇઝર અજિત દોવાલે રાતે બે વાગ્યે મરકાઝ પહોંચી તેના વડા મૌલાના સાદ તથા અન્ય અગ્રણીઓને સમજાવવા પડયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વર્તુળોના જણાવ્યા અનુસાર તા. ૨૮મી માર્ચની રાતે બે વાગ્યે દોવાલ મરકાઝ પહોંચ્યા હતા. તેમણે મૌલાના સાદને જણાવ્યું હતું કે આ અધિવેશનમાં ભાગ લેનારા સંખ્યાબંધ લોકો કોવિદ-૧૯નો ચેપ ધરાવતા હોવાનું જણાયું છે આથી બહેતર છે કે અહીં હજુ પણ જમા થયેલા લોકો પણ ટેસ્ટ કરાવી લે અને કોરોન્ટાઇનમાં રહેવાનું કબૂલી લે. તબલીગી અધિવેશનમાં ભાગ લેનારા ઇન્ડોનેશિયાના ૧૦ લોકો તેલંગણાના કરીમનગર પહોંચ્યા બાદ કોરોના પોઝિટિવ જણાયા હતા ત્યારથી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત સિકયુરિટી એજન્સીઓ મરકાઝમાં જમા થયેલા અને ત્યાંથી દેશનાવિવિધ રાજયોમાં પહોંચેલા લોકો વિશે સચેત થઇ ગયાં હતાં. તમામ રાજયોના પોલીસ વડાઓને આ અધિવેશનમાં ભાગ લેનારાઓની ભાળ મેળવવા અને તેમના તત્કાળ ટેસ્ટ કરાવી કોરોન્ટાઇનમાં મોકલવા જણાવી દેવાયું હતું.

પોલીસની ચેતવણી બાદ મરકાઝમાંથી ૧૬૭ તબલીગી સદસ્યોને હોસ્પિટલમાં ખસેડવા તૈયાર થયા હતા. પરંતુ તે પછી પણ જમાતના અગ્રણીઓ મસ્જિદ સંકુલ ખાલી કરવા તૈયાર ન હતા.

આ તબક્કે લગભગ તમામ મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે વ્યકિતગત સંપર્કો ધરાવતા દોવાલને મેદાનમાં ઉતારાયા હતા. દોવાલે રાતે બે વાગ્યે ત્યાં પહોંચી જમાતના નેતાઓની સમજાવટ આદરી હતી.

(3:42 pm IST)