જરૂર કરતા વધારે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક
જેવી રીતે વ્યક્તિના મનમાં ખુશી અને દુઃખનો ભાવ આવે છે, એવી જ રીતે ગુસ્સો આવવો એ સામાન્ય વાત છે. પરંતુ, કેટલાક લોકો તો એવા હોય છે જેને ખૂબ જ વધારે ગુસ્સો આવી જાય છે અને તે પોતાના ગુસ્સા પર કાબુ કરી શકતા નથી. તેનાથી બીજા પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે અને પોતાને પણ નુકશાન થાય છે. જો તમે પણ એવા લોકોમાં આવો છે જેને વધારે ગુસ્સો આવે છે, તો તેને નિયંત્રણ કરવા આ જરૂર વાંચજો.
ગુસ્સો આવે એટલે ઉંડા શ્વાસ લેવા જોઈએ. એવુ કરવાથી તમારા મસ્તિષ્કમાં રહેલ ખાસ નસ (વેગસ નર્વ) શરીરને સંકેત આપે છે કે તે માંસપેશીઓને ઢીલી છોડે અને શાંત થઈ જાય. સારા પરીણામ માટે તમે ૪-૫ વાર ઉંડા શ્વાસ લો. ઉંડા શ્વાસ લેવાની સાથે તમે મનમાં ૧ થી ૧૦ સુધી એકડા પણ બોલી શકો છો. તરત જ ગુસ્સો શાંત થઈ જશે.
તમને વિશ્વાસ નહિં આવે પણ પોતાની જ સાથે વાત કરીને પણ તમે ગુસ્સાને નિયંત્રીત કરી શકો છો. જ્યારે તમને ગુસ્સો આવે તો પોતાની જાતને ભરોસો અપાવો કે ધીમે-ધીમે બધુ સરખુ થઈ જશે. પોતાને કહો કે વાત એટલી મોટી પણ નથી કે તેના પર આટલો ગુસ્સો કરવામાં આવે. સકારાત્મક વિચાર તમને શાંત અને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે.
ગુસ્સાને શાંત કરવામાં સંગીત એક મહત્વની ભુમિકા ભજવે છે. જ્યારે પણ તમને વધુ ગુસ્સો આવી રહ્યો હોય તો તમે તમને મનપસંદ સંગીત સાંભળો. તેનાથી તમારૂ ધ્યાન ગુસ્સો અપાવનાર વાતમાંથી દૂર થશે અને તમે પરિસ્થિતીને સારી રીતે સંભાળી શકશો.