માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ આધેડોને પણ છે કોરોનાથી મૃત્યુનું જોખમ
નવી દિલ્હી: કોરોના વાયરસનો હાહાકાર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બ્રિટન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોવિડ 19 અર્થાત કોરોના સંક્રમણ થયેલા લોકો પૈકી વૃદ્ધોનો મૃત્યુદર ઊંચો હોવાનું અત્યાર સુધી લાગી રહ્યું હતું કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ ઓછી હોય છે. જો કે નવા અભ્યાસ મુજબ કોરોનાથી મધ્યમ વયના અથવા આધેડના મોતનું જોખમ પણ રહેલું છે.
મેઈનલેન્ડ ચાઈનામાં થયેલા કોરોનાના કેસના એક વ્યાપક સર્વે બાદ આ તારણો સામે આવ્યા છે. બ્રિટનના સંશોધકોએ ચીનના વુહાન શહેરમાં ફાટી નિકળેલી આ મહામારી બાદ સ્વદેશ પરત ફરેલા 3,600થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જણાયું કે, જીવલેણ ચેપ લાગવા માટે દર્દીની ઉંમર સૌથી મહત્વનું પરિબળ રહ્યું હતું. 80 વર્ષથી ઉપરના પાંચમાંથી એક પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી જ્યારે 30 વર્ષથી ઓછી ઉંમરના એક ટકા લોકોને જ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.