બાંગ્લાદેશમાં નાવડી પલ્ટી ખાતા મ્રુતકઆંક વધીને 60એ પહોંચ્યો
નવી દિલ્હી: બાંગ્લાદેશના પંચગઢમાં રવિવારે નૌકા પલટી જવાથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થઈ ગયા છે. રવિવારે મૃતકોની સંખ્યા 26 હતી જે હવે વધી ગઈ છે. દીપાંકર રોયે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. મૃતકોમાં 25 મહિલાઓ અને 13 બાળકો પણ સામેલ છે. નૌકામાં સવાર આ તમામ લોકો બોડેશ્વરી મંદિરે તહેવાર ઉજવવા જઈ રહ્યા હતા. રવિવારે બપોરે મારિયા યુનિયનના ઔલિયા ઘાટથી નૌકા પલટી જવાની સૂચના મળી હતી. પંચગઢના ડેપ્યુટી કમિશનર ઝહીરુલ ઈસ્લામે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે નૌકા પલટી ગયા બાદ લાપતા વ્યક્તિઓની શોધખોળ માટે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ બચાવ અભિયાનને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો નદી કિનારે એકઠા થયા હતા. બાંગ્લાદેશમાં સલામતી ધોરણોમાં ઢીલ અને ઓવરલોડિંગને કારણે નૌકા અકસ્માતો વધુ સામાન્ય બની ગયા છે. બાંગ્લાદેશ બે મુખ્ય નદીઓ ગંગા અને બ્રહ્મપુત્રાના નીચલા માર્ગ પર સ્થિત છે. આ દેશ કુલ 230 નદીઓથી ઘેરાયેલો છે.