કોરોનના પ્રકોપથી બચવા માટે જી-20 દેશોએ રણનીતિ ઘડી કાઢી
નવી દિલ્હી: કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે ગુરુવારે જી-૨૦ રાષ્ટ્રોએ કોરોના વાઈરસનો સામનો કરવા માટે રણનીતિ ઘડી કાઢવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જી-૨૦ રાષ્ટ્રોએ વૈશ્વિક અર્થતંત્રમાં પાંચ ટ્રિલિયન યુએસ ડોલર (અંદાજે ૩.૭૪ લાખ અબજ રૂપિયા)નું ભંડોળ ઠાલવવાનું વચન આપ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા પર ધ્યાન આપવાના બદલે પહેલાં માનવ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું છે. તેમણે જી-૨૦ રાષ્ટ્રોને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
સાઉદી અરબના રાજા સલમાનના અધ્યક્ષપદે યોજાયેલી સંયુક્ત ઈમર્જન્સી વીડિયો કોન્ફરન્સમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં સાઉદીના રાજા સલમાને કોરોના સામે લડવા માટે સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો. સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલી ઓઈલ પ્રાઈસની વોરનો અંત લાવવા માટે બંને રાષ્ટ્રો પર દબાણ થઈ રહ્યું છે.