ફાંસી અને અંગો કાપવાની સજા પાછી આવશે : મુલ્લા નુરૂદ્દીન તુરાબી
તાલિબાનોના અફઘાનમાં શાસન પર વિશ્વની નજર : આ પ્રકારના કાયદાનો જાહેરમાં અમલ નહીં કરાય એવી તાલિબાનના સ્થાપકો પૈકીના એક આતંકીની જાહેરાત
કાબુલ, તા.૨૪ : સત્તા સંભાળ્યા બાદ તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં કેવી રીતે શાસન ચલાવશે તેના પર દુનિયાની નજર છે. તાલિબાનના નેતાઓએ ભલે મોટા મોટા દાવા કર્યા હોય પણ તેને લઈને દુનિયા શંકાશીલ છે.
પોતાના અગાઉના શાસનકાળમાં તાલિબાનની ક્રુરતાના કિસ્સા આખી દુનિયામાં ગાજ્યા હતા. હવે ફરી એ જ પ્રકારની ચિંતાઓ ઉભી થઈ છે. દરમિયાન તાલિબાનના સ્થાપકો પૈકીના એક મુલ્લા નુરૂદ્દીન તુરાબીએ ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ફાંસી અને આકરી સજા આપવાના કાયદા બહુ જલ્દી પાછા આવશે પણ આ પ્રકારના કાયદાનો જાહેરમાં અમલ નહીં કરાય. ફાંસી તેમજ શરીરના અંગો કાપી નાંખવાની સજા દેશમાં ફરી લાગુ થશે.
કારણકે કાયદાઓનુ પાલન થાય તે બહુ જરૃરી છે. તુરાબીએ કહ્યુ હતુ કે, અગાઉ અમે સ્ટેડિયમમાં સજા આપતા હતા અને તેની ટીકા થઈ હતી. અમને કોઈએ કહેવાની જરૃર નથી કે અમારે કેવા કાયદા બનાવવા જોઈએ. મે કુરાનના આધાર પર અમારા કાયદા બનાવીશું. અપરાધ રોકવા માટે હાથ કાપવાની સજા જરૃરી છે. કેબિનેટ જોકે હજી વિચાર કરી રહ્યુ છે કે, આ પ્રકારની સજા જાહેરમાં આપવી જોઈએ કે નહીં.