૨૩ વર્ષની મહેનત બાદ વિજ્ઞાનીઓએ દેશમાં લાલ કલરના ભીંડા વિકસાવ્યા
ભીંડાની આ નવી પ્રજાતિ ડિસેમ્બર સુધી માર્કેટમાં આવી જશે
વારાણસી, તા. ૨૩ :. ભારતીય વિજ્ઞાનીઓને એક મોટી સફળતા મળી છે. ૨૩ વર્ષની અથાગ મહેનત બાદ વિજ્ઞાનીઓને ભીંડાની એક નવી પ્રજાતિ વિકસાવવામાં સફળતા મળી છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ વેજિટેબલ રિસર્ચના વિજ્ઞાનીઓએ ૨૩ વર્ષ બાદ લાલ રંગના ભીંડા વિકસાવ્યા છે. આ ભીંડાનો રંગ લાલ હોવાથી તેનુ નામ કાશીલાલીમાં રાખવામાં આવ્યુ છે.
ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ વેજિટેબલ રિસર્ચના વિજ્ઞાનીઓએ જણાવ્યુ હતુ કે વિકસાવવામાં આવેલ લાલ ભીંડા એન્ટિઓકિસડન્ટ, આયર્ન અને કેલ્શિયમ સહિત તમામ પોષક તત્વોથી ભરપૂર છે. વિજ્ઞાનીઓએ તેની અનેક પ્રજાતિને વિકસાવી છે. લીલા કલરના સામાન્ય ભીંડા કરતા લાલ ભીંડાની કિંમત વધુ છે.
લાલ કલરની કાશીલાલીમા ભીંડાની અલગ અલગ જાતની કિંમત પ્રતિ કિલો રૂ. ૧૦૦થી ૫૦૦ છે. ભારતમાં લીલા કલરના ભીંડાનો વપરાશ થાય છે. લાલ કલરના ભીંડા પશ્ચિમ દેશોમાં જ મળે છે અને ભારત પણ ત્યાંથી જ અત્યાર સુધી મંગાવતુ હતુ, પરંતુ હવે દેશમાં તેની પ્રજાતિ વિકસીત થઈ હોવાથી હવે લાલ કલરના ભીંડા આયાત કરવા પડશે નહીં.(૨-૧૭)