દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

થાઇલેન્‍ડના રાજાએ મિસ્‍ટ્રેસને રાણીનો દરજ્‍જો આપ્‍યા બાદ 3 મહિનામાં જ છીનવી લીધો

બેંગકોક: થાઈલેન્ડના રાજા વાઝિરાલોંગકોર્ને પોતાની 34 વર્ષની રાણીને ગદ્દારી અને કથિત મહત્વકાંક્ષાના કારણે પદેથી હટાવી દીધી છે. સોમવારે શાહી પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા એક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે રાણી જેવા હક મેળવવાની મહત્વકાંક્ષાના કારણે 3 મહિનાથી પણ ઓછા સમયમાં તમામ પદ અને શક્તિઓથી બરખાસ્ત કરવામાં આવી શકે છેરાજાએ 67માં જન્મદિવસ પર 28 જુલાઈના રોજ સિનીનાત વોંગ  વચિરાપાકને રાજાએ રોયલ બોડીગાર્ડનો દરજ્જો આપ્યો હતો. સિનીનાત  લોકો વચ્ચે 'કોઈ'ના નામથી ખુબ લોકપ્રિય છે. થાઈલેન્ડના શાહી પરિવારની લગભગ 100 વર્ષ જૂની પરંપરામાં એવું પહેલીવાર બન્યું કે કોઈ મહિલાને આ ખાસ પદ આપવામાં આવ્યું. થોડા દિવસ પહેલા જ શાહી મહેલ દ્વારા સિનીતાતને કેટલાક યુદ્ધ ઉપકરણો ચલાવવા, ફાઈટર જેટ અને રાજાના હાથ થામીને ચાલવાની તસવીરો વાઈરલ થઈ હતી. અત્રે જણાવવાનું કે રાણી સુથિદાની હાજરીમાં જ રાજાએ સિનીનાતને શાહી દરજ્જો આપ્યો હતો.

3 મહિનામાં જ ખતમ થઈ ગઈ શાહી જિંદગી

સોમવારે આ ઘટનાના  3 મહિના બાદ જ સિનીતાતને આ પ્રકારે શાહી પરિવારની બહાર જવાનો રસ્તો  દેખાડી દેવાના અહેવાલો મીડિયામાં છવાયેલા રહ્યાં હતાં. શાહી  પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ રાજા પ્રત્યે વફાદારી ન નિભાવવા બદલ અને રાણી સુથિદાની નિયુક્તિ વિરુદ્ધ પોતાની મહત્વકાંક્ષાઓ માટે ષડયંત્ર રચવાના કારણે તેમને પદ પરથી બરખાસ્ત કરવામાં આવે છે. સિનીનાતને ચાઓ ખુન ફરા કે રાણીનો દરજ્જો પ્રાપ્ત પદ આપવામાં આવ્યું હતું.

શાહી સંદેશમાં સિનીનાતની ટીકા

શાહી પરિવાર તરફથી બહાર પડાયેલા સંદેશમાં સ્પષ્ટ રીતે સિનીનાત માટે કઠોર શબ્દો ઉપયોગમાં લેવાયા છે. સંદેશમાં કહેવાયુ છે કે તેમણે રાજા પ્રત્યે કોઈ સન્માન દેખાડ્યું નથી અને સ્પષ્ટ છે કે તેમને શાહી પરંપરાઓનું કોઈ જ્ઞાન નથી. તેમની હરકતો અંગત ફાયદા માટે હતી. કોઈના વ્યવહારને અપમાનજનક બતાવતા સંદેશમાં કહેવાયું કે તે સતત પોતાને રાણી સુથિદા સમકક્ષ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમનો વ્યવહાર સર્વોચ્ચ સન્માનના અધિકારી વિરુદ્ધ અપમાનજનક હતો અને આ જ કારણે સામાન્ય લોકો વચ્ચે અસમંજસનો માહોલ બની ગયો.

અત્રે જણાવવાનું કે 34 વર્ષની સિનીનાત રોયલ થાઈ આર્મીથી ગ્રેજ્યુએટ હતી અને 23 વર્ષની ઉંમરમાં તેણે ડિગ્રી લીધી હતી. પાઈલટ  તરીકે થાઈલેન્ડ અને વિદેશમાં પણ ટ્રેનિંગ લીધી હતી. તેણે કિંગના બોડીગાર્ડ યુનિટમાં પણ સેવાઓ આપી અને મે મહિનામાં તેમને શાહી દરજ્જો આપવામાં આવ્યો હતો.

રાણીની હાજરીમાં જ આપ્યો હતો મિસ્ટ્રેસને શાહી દરજ્જો

થાઈલેન્ડના 66 વર્ષના રાજા વાઝિરાલોંગકોર્ને મે મહિનામાં પોતાની બોર્ડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતાં. આ તેમના ચોથા લગ્ન હતાં. પોતાના 67માં જન્મદિવસે તેમણે રાણી સુથિદાની હાજરીમાં 34 વર્ષની મિસ્ટ્રેસ સિનીનાતને પણ શાહી સ્થાન આપ્યું અને શાહી પરિવારના સભ્ય તરીકે સ્વીકાર કર્યો.

પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે થાઈલેન્ડના લોકોએ રાજાની એકથી વધુ રાણીઓનો સ્વીકાર કર્યો છે. થાઈલેન્ડના રાજાને રામા X તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનીનાતને શાહી પરિવારમાં મહત્વનું સ્થાન આપતા વખતે બાજુમાં તેમના પત્ની સુથિદા પણ બેઠા હતાં. જો કે તેમના ચહેરા પર જરાય પરેશાનીના ભાવ જોવા મળ્યા નહતાં. રાજાના આ નિર્ણય બાદ પણ તેમની ટીકા કરવાની હિંમત કોઈનામાં નહતી કારણ કે થાઈલેન્ડના કાયદા મુજબ આ અંગે ખોટી ટિપ્પણી કરનારાને 15 વર્ષની સજા થઈ શકે છે.

(5:23 pm IST)