ડાયાબેટિક લોકો સર્જરીના સમયે પૂરતી ઊંઘ લે એ જરૂરી
નવી દિલ્હી તા. રરઃ જે લોકોને ટાઇપ-ર ડાયાબિટીઝ છે તેમના પર જયારે ઓપરેશન કરવામાં આવ્યું હોય ત્યારે તેમણે પૂરતી ઊંઘ લેવી જોઇએ. આવા લોકોને જયારે કંઇ વાગ્યું હોય અથવા ઘા પડયો હોય ત્યારે પણ પૂરતી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ટલેનેસીમાં થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીઝના કારણે લોહીમાં શુગરનું પ્રમાણ વધારે રહે છે, આથી શરીરમાં લોહીનો પુરવઠો પુરો પાડવામાં મુશ્કેલી થાય છે અને શરીરની નર્વ ડેમેજ થાય છે. સર્જરી બાદ આના કારણે ઇન્ફેકશન વધવાનો ખતરો રહે છે. જો આવો દરદી પૂરતી ઊંઘ ન લે તો ઇમ્યુન-સિસ્ટમ નબળી પડે છે અને સાજા થવાની પ્રક્રિયા ધીમી પડે છે. રિસર્ચરોએ આ વિશે ઉંદરો પર પ્રયોગ કર્યા હતા. જે ઉંદરો લાંબા સમય સુધી ઊંઘમાં રહ્યા તેમનામાં સાજા થવાની પ્રક્રિયા ઝડપી જોવા મળી હતી.