તાલિબાન પર હુમલો કર્યો હોવાનો ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ કર્યો દાવો
નવી દિલ્હી: કટ્ટરવાદી ઇસ્લામિક સ્ટેટ સંગઠનના આતંકવાદીઓએ પૂર્વ અફઘાનિસ્તાનમાં તાલિબાનના વાહનો પર કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બમારાની જવાબદારી લીધી છે. રવિવારે અમાક ન્યૂઝ એજન્સીમાં પ્રકાશિત દાવા અનુસાર તાલિબાન પર આવા હુમલા જૂના હરીફો તરફથી સતત વધતી ધમકીનો સંકેત આપે છે. આઇએસનો ગઢ મનાતા જલાલાબાદમાં શનિ અને રવિવારે થયેલા હુમલામાં તાલિબાનના ઘણા આતંકીઓ સહિત ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, તાલિબાને ગયા મહિને કાબુલ પર અંકુશ મેળવી અફઘાનિસ્તાનની સત્તા મેળવી હતી. અમેરિકન લશ્કરે ૩૦ ઓગસ્ટે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે છોડી દીધું હતું. જોકે, હવે તાલિબાન અફઘાનિસ્તાનનું શાસન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે તેની સામે આર્થિક અને સુરક્ષાના મોટા પડકાર છે. ઉપરાંત, આઇએસ આતંકવાદી જૂથના હુમલાઓ સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. વિદેશી લશ્કરે અફઘાનિસ્તાન છોડ્યું એ પહેલાં તાલિબાન અને આઇએસના આતંકવાદીઓ એકબીજાના કટ્ટર દુશ્મન હતા. આમ તો બંને જૂથ કટ્ટર ઇસ્લામિક કાયદાના અમલની તરફેણમાં છે.