જો તમે મેદસ્વી છો અને પેટમાં ખરાબ બેકટેરિયા વધુ છે તો ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી વધી શકે છે
લંડન, તા. ૧૯ : સામાન્ય રીતે પેટમાંના બેકટેરિયા પાચન અને લોહીની શુદ્ધિમાં જ ભાગ ભજવતા હશે એવું માની લેવાની જરૂર નથી. ખરાબ બેકટેરિયાનો વધુ પડતો ભરાવો તમારા મગજને પણ નકારાત્મક વિચારોથી ભરી દેવા માટે રક્ષમ છે. અમેરિકાના જોસ્લિન ડાયાબિટીઝ સેન્ટરના નિષ્ણાતોએ ઉંદર પર પ્રયોગ કરીને તારવ્યું હતું કે જયારે પાચન વ્યવસ્થિત ન હોય અને હાઇ-ફેટ ડાયટ વધુ માત્રામાં લેવામાં આવે છે ત્યારે પ્રાણીઓની વર્તણૂકમાં બદલાવ આવી જાય છે. ચરબીયુકત ખોરાકને કારણે પેટમાંના ખરાબ બેકટેરિયાનું જોર વધે છે અને એન્ગ્ઝાયટી, રેસ્ટલેસનેસ, ડિપ્રેશન, ઓબ્સેસિવ કમ્પલ્સિવ, ડિસઓર્ડર જેવા બિહેવિયરલ અને મૂડ-ડિસઓર્ડર્સના લક્ષણો ડેવલપ થઇ શકે છે. અભ્યાસકર્તાઓ હાલમાં એ શોધવા મથી રહ્યા છે કે એકજેકટલી કયા બેકટેરિયા મગજની વિચાર-પ્રક્રિયા પર અસર કરે છે. જો આ શોધવામાં સફળતા મળે તો એનો ખાતમો બોલાવતી એન્ટિ-બાયોટિકસથી મૂડ-ડિસઓર્ડર્સ પણ કન્ટ્રોલમાં આવી શકે છે.