પાણીને કુદરતી રીતે શુદ્ધ કરી શકે છે સરગવાનું વૃક્ષ
નવી દિલ્હી, તા. ૧૯ : જેનું બોટનિકલ નામ મોરિન્ગા ઓલેફેરા છે અને આપણે તેને સરગવાની સિંગનું ઝાડ કહીએ છીએ એ પાણીને કુદરતી રીતે અને ઓછી કિંમતે શુદ્ધ કરી શકે છે એવું સાયન્ટિસ્ટોએ શોધ્યું છે. સરગવાના બી પાણીને શુદ્ધ કરવા માટે બુનિયાદી સ્તરે વપરાતા આવ્યા છે અને આ વાતને અમેરિકન સાયન્ટિસ્ટોએ પણ સમર્થન આપ્યું છે. સરગવાના બીમાં ખાસ પ્રકારનું પ્રોટીન રહેલું છે જે પાણીમાં રહેલા ઓર્ગેનિક કાર્બનને ગાળી દે છે, પરંતુ એનાથી બેકટેરિયાનો ગરોથ માત્ર ર૪ કલાક માટે જ અટકે છે. એ પછીથી એમાં બેકટેરિયા પેદા થઇ શકતા હોવાથી પાણી માત્ર સીમિત સમય પૂરતું જ પીવાલાયક હોય છે. અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના રિસર્ચરોએ સરગવાના બીજમાંથી ખાસ પ્રોટીન અલગ તારવીને નવું ફિલ્ટરિંગ માધ્યમ તૈયાર કર્યું છે, જે સિલિકા પાર્ટિકલ સાથે જોડાઇને ખાસ પ્રકારની રેતી જેવું બનાવે છે. આ નવા ફિલ્ટરમાંથી પસાર થયેલુ પાણી લાંબો સમય સુધી કલીન રહે છે અને લાંબા સમય સુધી એ પીવા અને ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.
સરગવાનું ઝાડ ભારતીય મૂળનું છે અને બહુ સરળતાથી ઉગી જતું હોવાથી એના બીમાંનું પ્રોટીન સસ્તુ પડે છે એના ઉપયોગથી સસ્તી વોટર-પ્યોરિકેશન સિસ્ટમ મળી શકે છે. (૮.૪)