ટૂંકાગાળાની રિલેશનશિપને વધુ પસંદ કરે છે શ્રીમંતો
લંડન, તા. ૧૯ :. બ્રિટનના એક અભ્યાસ મુજબ વૈભવી અને સમૃદ્ધ વ્યકિતઓને ટૂંકા ગાળાના સંબંધોમાં વિશેષ રૂચિ હોય છે. અભ્યાસમાં વિજાતીય શારીરિક સંબંધોમાં પરોવાયેલા ૭૫ પુરૂષો અને ૭૬ મહિલાઓની સંબંધો બાબતની રૂચિની જાણકારી મેળવવામાં આવી હતી.
એ ૧૫૧ જણને પચાસ જેટલી વ્યકિતઓના ફોટોગ્રાફસ બતાવીને પાર્ટનર તરીકે કોને પસંદ કરશો અને તેમની સાથે ટૂંકા ગાળાનો સંબંધ પસંદ પડે કે લાંબા ગાળાનો સંબંધ રાખવાનું ગમે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. એ બધાને ફાસ્ટ કાર, ઝવેરાત, મોટા બંગલા અને નાણાના ચિત્રો બતાવવામાં આવ્યા હતાં. ત્યાર પછી અભ્યાસમાં સહભાગી વ્યકિતઓને તેમના સંભવિત પાર્ટનર્સના ફોટોગ્રાફસ જોઈને તેમની સાથે ટૂંકા ગાળાના સંબંધો પસંદ કરે છે કે લાંબા ગાળાના એ નક્કી કરવાનું હતું. વૈભવના સાધનોના ચિત્રો જોયા બાદ પુરૂષો અને સ્ત્રીઓ બન્નેએ ટૂંકા ગાળાના સંબંધો માટે વધારે પાર્ટનર્સની પસંદગી કરી હતી. અસલ પરિણામની સરખામણીમાં ૧૬ ટકા વધુ પાર્ટનર્સની ટૂંકા ગાળાના સંબંધો માટે પસંદગી કરી હતી.
માનસશાસ્ત્રીઓ માને છે કે, વ્યકિતની ટૂંકા ગાળાના સંબંધો કે લાંબા ગાળાના સંબંધોની પસંદગી તેના સંજોગો પર આધાર રાખે છે. એમા અપરિણીત, છૂટાછેડા લીધેલા કે વિધવા-વિધુર પેરેન્ટને સંતાનના ઉછેરમાં પડતી મુશ્કેલી જેવા સંજોગોનો સમાવેશ છે.