કરાંચીમાં બ્લાસ્ટ: બે મોતને ભેટ્યા: 8 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવી દિલ્હી:પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની કરાચીમાં થયેલા ભયંકર બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને આઠને ગંભીર ઈજાઓ થઈ છે. મલિર જિલ્લામાં થયેલા આ વિસ્ફોટથી અનેક ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. બ્લાસ્ટથી ભીડભાડવાળા આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો તે સ્થળે વધુ એક વિસ્ફોટક પણ રાખવામાં આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે નિષ્ક્રિય બનાવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ઈરફાન અલી બહાદુરે જણાવ્યું કે હાથલારી નીચે લગાવવામાં આવેલ ટાઈમ બોમ્બ ભયંકર ધડાકા સાથે ફૂટ્યા હતા અને તેમાં બે લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
કાયદાબાજ ફ્લાયઓવર નજીક થયેલા આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને સ્વીકારી નથી, પરંતુ કરાચીમાં લાંબા સમયથી આતંકવાદી, કટ્ટરવાદી અને જાતિવાદી હિંસા વધી રહી છે. વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે