પાકિસ્તાનમાં આતંકી હુમલાના ઘટનાઓમાં વધારો:કરાંચીમાં ફરી એકવાર કરવામાં આવ્યો આતંકી બ્લાસ્ટ
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટના અટકવાનું નામ લેતી નથી. કરાંચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અહીં ખરાદર વિસ્તારમાં ન્યૂ મેમન મસ્જિદ પાસે થયેલા બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું હતું અને 11 લોકો ઘાયલ થયા હતા. કરાંચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પિક-અપ અને અન્ય કેટલાંક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હજી સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાન શહેબાઝ શરીફે હુમલાની નિંદા કરી છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક પકડવા માટેને નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓને અંજામ આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સિંધ સરકારને મદદ કરવાની પણ વાત કરી છે. આ તરફ, સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તમામ ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સિંધના આઈજીપી મુશ્તાક અહેમદ મહારે આ મામલે વિગતવાર રિપોર્ટ માગ્યો છે.