વૉશિન્ગટનની હોસ્પિટલ્સમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થયો અચાનક વધારો
નવી દિલ્હી: વોશિંગ્ટનમાં કોવિડ-૧૯ની સ્થિતિ એટલી હદે વણસી છે કે તેની હોસ્પિટલ્સ ઇદાહો જેવા પાડોશી રાજ્યને મદદ કરવાની સ્થિતિમાં પણ નથી. ઇદાહોમાં વેક્સિન નહીં લીધેલા લોકો, હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટર્સના ઘણા કેસ નોંધાયા છે. જોકે, વોશિંગ્ટન તેમને મદદ કરવાની સ્થિતિમાં નહીં હોવાનું જણાવ્યું છે. વોશિંગ્ટન સ્ટેટ હોસ્પિટલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તાયા બ્રિલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'વોશિંગ્ટન અત્યારે મહામારી શરૂ થઈ ત્યારથી સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. હોસ્પિટલ્સે જરૂરી સર્જરી રદ કરીને કોવિડના કારણે હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોક આવ્યો હોય એવા દર્દીઓની સારવાર કરવી પડે છે. તેને લીધે ઘણા બેડ ભરાઈ ચૂક્યા છે. કોવિડના હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓની સંખ્યા જૂન અને જુલાઈની શરૂઆતમાં ૩૫૦ હતી, જે વધીને ૧,૭૦૦ થઈ છે. વેક્સિન નહીં લેનારા લોકોને કારણે કેસમાં વધારો નોંધાયો છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હોસ્પિટલમાં ભરતી થયેલા ૯૫ ટકાથી વધુ દર્દી વેક્સિન લીધા વગરના છે. ૨૬૦ દર્દી વેન્ટિલેટર્સ પર છે.' આરોગ્ય વિભાગના ડેટા અનુસાર વોશિંગ્ટનના ૧૨ વર્ષ અને વધુ વયના લગભગ બે તૃતિયાંશ રહીશોનું સંપૂર્ણ વેક્સિનેશન થઈ ચૂક્યું છે અને ૭૪ ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે. વોશિંગ્ટનમાં હોસ્પિટલ્સ એટલી હદે ભરાયેલી છે કે સત્તાવાળાએ ગયા સપ્તાહે અમુક દર્દીઓના ભોગે અન્ય કેટલાક દર્દીને લાઇફ-સેવિંગ સુવિધા આપવાની જાહેરાત કરી હતી.