ઇબોલા સહીત એચઆઇવીની સારવારમાં મહત્વપૂર્ણ ફાળો આપનાર વૈજ્ઞાનિક બન્યા કોરોનાનો શિકાર
નવી દિલ્હી: દુનિયાના તમામ દેશોમાં કોરોના વાયરસ કેર મચાવી રહ્યો છે. અનેક સેલિબ્રિટી, ડોક્ટરો, નેતાઓ આ વાયરસનો ભોગ બન્યા છે. ત્યારે હવે ઇબોલા અને એચઆઇવીની સારવારમાં મહત્વપૂર્ણ ફાળો પીટર પીયોટ નામના વિજ્ઞાની પણ કોરોનાનો શિકાર બન્યા છે. પીટર પીયોટ નામના આ વિજ્ઞાનીએ ઇબોલા વાયરસની શોધમાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. તેઓ લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડાયરેક્ટર છે. 40 વર્ષ સુધી તેમણે એચઆઇવી સહિતના વિવિધ રોગો પર સંશોધન કર્યુ છે.
તેમણે જણાવ્યું કે 40 વર્ષ સુધી વાયરસ પર સંશોધન કર્યા બાદ છેલ્લે મને પણ એક વાયરસ મળી ગયો. આ પહેલા તેઓ ક્યારેય આટલી ગંભીર રીતે બિમાર નથી પડ્યા. કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેમને ન્યુમોનિયા થઇ ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પીટર પીયોટે જણાવ્યું કે તેમને આશા છે કે આ સંકટના સમયે વિશ્વના દેશો વચ્ચેની રાજકિય ખેંચતાણ ઓછી થશે અને બધા સાથે મળીને કોરોના વાયરસની રસી શોધવાના પ્રયત્નો કરશે.