સિસિલી ટાપુના કબ્રસ્તાનને બનાવાયું મ્યુઝિયમ, ૮૦૦૦ લાશો અને ૧૨૫૨ મમીઝ જોઇ શકાશે
ઇટલી પાસેના સિસિલી ટાપુના પાર્લેમો શહેરમાં કેપુચીનો કેટાકોમ્બ્સ નામની જગ્યાએ ૧૬મી સદીમાં ખ્રિસ્તી સાધુઓએ શબોને દફનાવવાનું અને મમી બનાવીને સાચવવાનું કામ શરૂ કર્યુ હતું. એ જગ્યાએ લગભગ ૮૦૦૦થી વધુ લાશો દફનાવાયેલી અને ૧૨૫૨થી વધુ મમીઝ સચવાયાં હતાં. આ જગ્યાએ કબ્રસ્તાન હતું જેને હવે સંગ્રહાલયમાં તબદિલ કરવામાં આવ્યું છે. હવે અહીં આમ જનતા સદીઓ જૂનાં હાડપિંજર અને મમીઝને જોવા આવી શકે છે. આ સંગ્રહાલયનું સંચાલન પણ ખ્રિસ્તી ધર્મગુરૂઓ દ્વારા જ થાય છે. અહીં કેટલાંક મમીઝ કબર અને કોફિનમાં સુરક્ષિત અને સાબૂત હતાં. જયારે કેટલાંક છિન્નભિન્ન થઇ ચૂકયાં છે. હાડપિંજરોને કપડાં પહેરાવીને દીવાલો પર ટાંગવામાં આવ્યાં છે, જયારે કેટલાંક મમીઝને કોફિનમાં સુવડાવીને રખાયાં છે. મૃત્યુ પછી શરીરનું મમી બનાવવાની પ્રક્રિયા અહીં ૭૦ દિવસમાં થતી હતી અને એ માટે ધર્મગુરુઓની વિશેષજ્ઞ ટીમ કાર્યરત હતી.