૯૩ના શખ્સને ૧૩૦ પત્નીઓ ૨૦૩ બાળકોઃ મરી ગયા પણ બાળકો હજુ પેદા થશે
સતત લગ્ન એ તેનું મિશન હતું: તે માનતો કે કુરાને વધુ લગ્નોની છુટ આપી છે
ન્યૂયોર્ક તા. ૧૪ : વિશ્વમાં એક તરફ વસતી વધારા પર નિયંત્રણ લાવવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે, જયારે બીજી તરફ નાઈજિરિયાના રહીશ અને ૯૩ વર્ષે મૃત્યુ પામનારા મહંમદ બેલો અબુ બકરને ૧૩૦ પત્ની અને ૨૦૩ જેટલાં બાળકો હોવાની વાત બહાર આવી છે, જોકે બકર ભલે મૃત્યુ પામ્યો હોય પણ તેની અમુક પત્ની હજુ પ્રેગ્નન્ટ હોવાથી તેનાં વધુ સંતાન પેદા થશે.
આમ તો અબુ બકર મૌલવી હતો. તેનું માનવું હતું કે સતત લગ્ન કરતાં રહેવું તે તેનું પવિત્ર મિશન છે અને તે માટે જ તેનો જન્મ થયો છે. બેલોના અંગત સહાયક સલાવુદીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અબુ બકર બીમાર હતો.
અબુ બકર માનતો હતો કે કુરાનમાં જણાવ્યા અનુસાર કોઈ પણ પુરુષ ગમે તેટલાં લગ્ન કરી શકે છે અને તેથી જ તેણે પણ સતત લગ્ન કરવાનું ચાલુ જ રાખ્યું હતું અને તેણે તેનું આ મિશન તેના મૃત્યુ સુધી ચાલુ રાખ્યું હતું.
બેલોનું માનવું હતું કે પુરુષ કોઈ પણ મુસીબત વિના ગમે તેટલી પત્નીને સંભાળી શકે છે, જોકે ૨૦૦૮માં અનેક મુસ્લિમ મૌલવીઓની ટીકાનો તેને ભોગ બનવું પડ્યું હતું. તેમ છતાં તેનું જયારે ગત જાન્યુઆરીમાં મોત થયું હતું ત્યારે અનેક લોકો તેના જનાજામાં સામેલ થયા હતા.
આ અગાઉ પણ મૌલવીઓએ અબુ સમક્ષ માગણી કરી હતી કે તે ૪૮ કલાકમાં જ તેની પત્નીઓમાંથી ૮૪ને તલાક આપી દે. તે વખતે અબુ બકરે જવાબ આપ્યો હતો કે સતત લગ્ન કરતાં રહેવાનો તેનો પવિત્ર શોખ છે અને ત્યારબાદ પણ તેણે સતત લગ્ન કરવાનું ચાલુ રાખ્યું હતું અને આખરે તેણે કુલ ૧૩૦ જેટલાં લગ્ન કર્યાં હતાં.
આ દરમિયાન તેને ૧૩૦ સંતાન પેદા થયાં હતાં, જોકે હવે તેનું મોત થયું છે, પરંતુ હજુ પણ તેની અમુક પત્ની ગર્ભવતી હોવાથી તેનાં સંતાનોની સંખ્યા ચોક્કસપણે વધશે.