દારૂ પીધા પછી વ્યકિત ક્રોધી કેમ થઇ જાય છે?
લંડન તા. ૧૪: એ તો જગજાહેર છે કે દારૂ પીધા પછી વ્યકિત વધુ હિંસક, ગુસ્સાવાળી અને થોડીક ક્ષણો માટે સારા-ખોટાનો ભેદ ન સમજી શકે એવી ભોટ થઇ જાય છે. આવું થવાનું કારણ શું? ઓસ્ટ્રેલિયન રિસર્ચરોએ મગજ જયારે અમુકતમુક ચીજોમાં કાર્યરત હોય ત્યારે એનું મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ સ્કેન કરીને તારવ્યું છે કે દારૂના બે પેગ પીવા માત્રથી પણ મગજ છટકી શકે છે. યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સના અભ્યાસકર્તાઓએ દારૂ પીનારા વોલન્ટિયર્સના મગજનું સ્કેન તપાસીને તારવ્યું છે કે દારૂ પીવાથી આપણી વર્તણૂકમાં શિષ્ટતા જાળવવા માટે કાર્યરત મગજનો ભાગ થોડાક સમય માટે જાણે બહેરો થઇ જાય છે. સામાન્ય રીતે જે વ્યકિત સભ્યતાપૂર્વક, બીજાના વિશે વિચારીને વર્તન કરતી હોય તો પણ દારૂ પીધા પછી મગજનો એ ભાગ સુસ્ત થઇ જતો હોવાથી વ્યકિત નાની-નાની વાતે બેફામ, બેકાબૂ ગુસ્સો કરી બેસે છે.