દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

જાપાનમાં મોટાપાયે ઉંદરોને મારવાની યોજના:300 કિલો ઝેર અને 40 હજાર ગુંદરથી ભરેલી ચાદરની સરકારે કરી વ્યવસ્થા

ટોક્યોની 57 એકરમાં ફેલાયેલ પ્રસિદ્ધ સીફૂડ માર્કેટ સુકિજી ફિશ માર્કેટની નવી જગ્યા શિફ્ટ થવાના સમયે કવાયત શરૂ કરાશે

જાપાનમાં મોટા પાયે ઉંદરોને મારવાની યોજના બનાવાઈ રહીં છે જેના માટે જાપાન સરકારે 300 કિલો ઝેર અને 40 હજાર ગુંદરથી ભરેલી ચાદરની વ્યવસ્થા કરી છે. જેની મદદથી ઉંદરને પકડવામાં આવશે અને મારવામાં આવશે. ઉંદરને મારવા અથવા પકડવા માટેની આ કવાયત જાપાનની રાજધાની ટોક્યોની પ્રસિદ્ધ સીફૂડ માર્કેટ સુકિજી ફિશ માર્કેટ (Tsukiji Fish Market)ની નવી જગ્યા શિફ્ટ થવાના સમયે શરૂ કરાશે.આશરે  57 એકરમાં ફેલાયેલી સુકિજી ફિશ માર્કેટ ઘણા ઉંદરોનું ઘર છે, જે માછલીના ટુકડા અને માર્કેટના સીવરને કારણે અહીં મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા છે.

 જાપાનની 83 વર્ષ જૂની સુકિજી ફિશ માર્કેટને 2.3 કિલોમીટર દૂર તોયોસુમાં શિફ્ટ કરાઈ રહીં છે. સુકિજી ફિશ માર્કેટ વિશ્વની સૌથી મોટી ફિશ માર્કેટ હોવાની સાથે જ જાપાનની સૌથી પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ પણ છે. અહીં ટૂના માછલીના ઑક્શનની પ્રક્રિયા વિશ્વ પ્રસિદ્ધ છે.

  સુકિજી ફિશ માર્કેટની 900 દુકાનો 480 પ્રકારના સીફૂડ આઈટમ અને 270 પ્રકારના ફળ અને શાકભાજી વહેંચી દરરોજ 14 મિલિયન યુએસ ડૉલરનો વ્યાપાર કરે છે. એવામાં આટલા મોટા બજારને બદલવુ ઘણુ પરેશાનીભર્યુ કામકાજ છે. બજારને શિફ્ટ કરવા માટે હજારો ટ્રકોને કામે લગાડી દેવામાં આવી છે. બજારને શિફ્ટ કરતી વખતે અહીં રહેલા ઉંદરો જમીનની બહાર આવી શકે છે. એવામાં તેને નિયંત્રિત કરવુ વહીવટીતંત્ર માટે ઘણુ મુશ્કેલ છે. આ જ કારણ છે કે વહીવટીતંત્રે આટલા મોટા પાયા પર ઉંદરોને મારવા અને પકડવાની વ્યવસ્થા કરી છે.

 આ કામમાં જાણકારોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકોને લગાવી દેવામાં આવ્યા છે. ઉંદરોને મારી નાખવાની આ યોજના વિશે માર્કેટની આસપાસ સ્થિત કેટલીક રેસ્ટોરેન્ટ વગેરેને સંતર્ક કરી દેવામાં આવ્યા છે, કારણકે ઉંદરો સૂકિજી માર્કેટથી બહાર નિકળવાની સાથે જ આસપાસના ઘર અને રેસ્ટોરન્ટમાં પણ ઘુસી શકે છે.

 બચાવને પગલે રેસ્ટોરન્ટના માલિકોએ બિલાડીઓ પાળવાની શરૂ કરી દીધી છે. સુકિજી ફિશ માર્કેટમાં સીફૂડ હોલસેલ એસોસિએશનના ચેરમેન હિરોયાસુ ઈટોનું કહેવુ છે કે અહીં આપણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેમાં પક્ષીઓનુ અહીં ભેગુ થવુ અને ઉંદરોનુ એકત્રિત થવુ મુખ્ય છે. પરંતુ તેમણે આ વાત પર આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં આટલા વર્ષોમાં તેમણે સુકિજી ફિશ માર્કેટમાં સ્વચ્છતાનો ખ્યાલ રાખ્યો છે.

  માર્કેટમાં સાફ-સફાઈ માટે ઘણા ઉપાય કરવામાં આવ્યા છે, જેમાં સ્પેશિયલ ઈન્સ્પેક્ટરની તેનાતી પણ સામેલ છે. જે દર 15 દિવસે ખાવાની શુદ્ધતાની તપાસ કરે છે. નવી તોયોસુ માર્કેટમાં બારી-દરવાજા પર સેન્સર કંટ્રોલ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ અહીં એર કર્ટેસ પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી અહીંથી ઠંડી હવા પણ બહાર જતી નથી. આ સાથે જ ઉંદરો, કીડી-મકોડા અને ધૂળથી પણ બચાવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે.

(9:35 pm IST)