અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા કોરોનાના મૃતકો માટે કાલે સમુહ પ્રાર્થનાસભાઃ બ્રહ્મવિહારી સ્વામીજીની જાહેરાત
અબુધાબી: અત્યારે સમગ્ર વિશ્વ એક થઈને અદ્રશ્ય દુશ્મન એવા જીવલેણ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. માનવ સભ્યતા સામે જોખમ બનીને ઊભરી આવેલા આ કોરોના વાયરસ સામે દરેક દેશ પોત પોતાની રીતે લડત લડી રહ્યો છે. આવા સમયે HCHF દ્વારા ઓનલાઈન પ્રાર્થનાસભા "Prayers for Humanity"નું આયોજન કરાયું છે. જેમાં અબુ ધાબીનું BAPS હિન્દુ મંદિર પણ ભાગ લેશે. આ પ્રાર્થના સભાનું આયોજન 14મીના રોજ ગુરુવારે રાતે 9 વાગે કરવામાં આવ્યું છે. જેમાં ભારતની વિવિધ સંસ્કૃતિ આધારિત પ્રાર્થનાઓનો સમાવેશ કરાશે.
કોરોના વાયરસ સામેની લડતમાં લોકોને એકજૂથ કરવા માટે આ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. અબુધાબીના BAPS મંદિરના હેડ બ્રહ્મવિહારી સ્વામીજીએ કહ્યું કે HCHF (Higher Committee on Human Fraternity) દ્વારા યોજાયેલી આ પ્રાર્થના સભામાં જોડાવવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ એક પ્રેરણાત્મક કાર્ય છે જે માનવતાને એકજૂથ કરીને સર્વશક્તિમાન બનાવશે જેની કરુણા, માર્ગદર્શન અને સંરક્ષણની આપણને બધાને આ મુશ્કેલ સમયમાં જરૂર છે.
પ્રાર્થના સભા વિશે વાત કરતા સ્વામીજીએ દરેકને અપીલ કરી કે બધા ભેગા થાય અને માનવતાના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે. કોરોના વાયરસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે આ પ્રાર્થનાસભા લોકોને હ્રદય અને આત્મા દ્વારા એક થવામાં મદદરૂપ થશે અને પ્રાર્થના કરશે કે અનેક લોકોનો જીવ લેનારા જીવલેણ વાયરસના ભરડામાંથી આ વિશ્વ બહાર આવે.
આ પ્રાર્થના સભામાં ભજનો, વીડિયો પ્રેઝન્ટેશન, મંત્રોચ્ચાર અને મેડિટેશન પણ હશે. જે લોકોને તેમાં ભાગ લેવાની ઈચ્છા હોય તે લોકો "prayer.Mandir.Ae" પર જઈને તેમાં જોડાઈ શકે છે.