શું સંતાનો વાંચનમાં નબળા છે? તો તેમને ખવડાવો આ ફળ અને શાકભાજી
લંડન તા. ૧૨ : ડાયટમાં ફળ અને શાકભાજીનું મહત્ત્વ આપણે કદીયે નહોતું ધાર્યું એટલું વધી રહ્યું છે. અત્યારે સ્થિતિ એવી છે કે કોઇ પણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા લઇને ડોકટર પાસે જઇએ એટલે તરત પહેલી સલાહ આવે કે તમારા ખોરાકમાં ફળ અને શાકભાજીનો સમાવેશ કરો.
આ સલાહ નાનાં અને નવું-નવું વાંચતાં શીખી રહેલાં બાળકોની વાંચનક્ષમતા સુધારવા માટે પણ અપાઇ રહી છે. બ્રિટિશ સાયન્ટિસ્ટનું કહેવું છે કે બાળક જયારે વાંચવાનું શીખે ત્યારે તરત જ વાંચનમાં ફલુઅન્સી આવી જતી નથી. કેટલાંક બાળકો અટકી-અટકીને વાંચતાં હોય છે તો કેટલાંકને ઝડપથી વાંચવામાં તકલીફ પડે છે.
બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે જો જીવનની શરૂઆતનાં વર્ષમાં જ બાળકને હેલ્ધી ડાયટ સ્ટાઇલની આદત પાડી હોય તો તેમની રીડિંગ સ્કિલ્સ નોંધનીય રીતે સુધરે છે.