કોરોના મહામારીમાં ઓગસ્ટ સુધીમાં મૃતક આંક થઇ શકે છે 10 લાખને પાર:બ્રિટિશ મેડિકલ જર્નલનું અનુમાન
નવી દિલ્હી: બ્રિટિશ મેડિકલ જર્નલ 'ધ લાંસેટ' માં શુક્રવારે પ્રકાશિત એક સંપાદકીય લેખમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભારત તા.1 ઓગસ્ટ 2021 સુધીમાં 1 મિલિયન એટલે કે 10 લાખ કોરોનાથી થતી મૃત્યુનો સાક્ષી બની શકે છે. જો આ પરિણામ વાસ્તવિકતા બનશે તો એની જવાબદારી ભારત સરકારની રહેશે. આવનારા ત્રણ મહિનામાં સાડા સાત લાખ મૃત્યુ થવાનું મોટું જોખમ છે. લાંસેટના એડિટોરિયલ રીપોર્ટમાં ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનનો ઉલ્લેખ કરીને પ્રકાશિત કરાયું છે. જે એક સ્વતંત્ર વૈશ્વિક આરોગ્ય સંગઠન છે. એડિટોરિયલ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને નિયંત્રીત કરવામાં ભારતની ઘણી ખામી છે. જેનું પરિણામ દેશ ભોગવી રહ્યો છે. મેડિકલ જર્નલના આ રીપોર્ટમાં ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવાઈ છે. ચોખવટ કરવામાં આવી છે કે,સુપરસ્પ્રેડર ઈવેન્ટની ચેતવણી આપી હોવા છતાં સરકારે કેટલાક ધાર્મિક તહેવારને મંજૂરી આપી દીધી હતી. જેમાં સમગ્ર દેશના લોકો જોડાયા હતા. રાજકીય રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનો કોઈ અમલ થયો નથી.