ઓમીક્રોનથી બચવા માટે ખુબજ જરૂરી છે માસ્ક: અભ્યાસમાં થયો ખુલાસો
નવી દિલ્હી: કોરોનાથી બચવા માટે સામાજિક અંતર કરતાં માસ્ક મોટી ભૂમિકા ભજવી શકે છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ માહિતી મળી છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે માસ્કનો ઉપયોગ કરવાથી માત્ર ત્રણ મીટર દૂરની સરખામણીમાં 225 ગણું જોખમ ઘટાડી શકાય છે. કોરોના વાયરસ રોગચાળાની શરૂઆતથી જ નિષ્ણાતો માસ્કનું મહત્વ સમજાવી રહ્યા છે. નવા પ્રકાર ઓમિક્રોનથી બચાવ માટે નિષ્ણાતોએ હાથની સ્વચ્છતા, સામાજિક અંતર સાથે માસ્કના ઉપયોગ વિશે પણ વાત કરી છે. હાલમાં થયેલા એક અભ્યાસમાં જર્મની અને અમેરિકાના નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે ચહેરો ઢાંકવાથી વધુ રક્ષણ મળે છે. એવું જાણવા મળ્યું છે કે જો તમે 3 મીટરના અંતરે પણ ચેપગ્રસ્ત વ્યક્તિની નજીક 5 મિનિટ સુધી ઊભા રહો અને તે બંનેએ માસ્ક પહેર્યા ન હોય તો કોવિડનો શિકાર બનવાની સંભાવના 90 ટકા બની જાય છે. તો બીજી તરફ જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરે છે તો આ અસર 90 મિનિટના સમયે થવાની સંભાવના છે. જો બંનેએ મેડિકલ ગ્રેડનું FFP2 માસ્ક પહેર્યું હોય અને એક અંતરે ઊભા હોય તો એક કલાક પછી વાયરસ ફેલાવવાનું જોખમ ઘટીને 0.4 ટકા થઈ જાય છે.