કબૂતરનું ચરક જીવલેણ બની શકે છે
કબૂતરની વિષ્ઠા સૂકાયા બાદ એવા બેકિટરિયા છોડે છે જે માણસના શરીરના અંગોને દૂષિત કરી શકે છે
નવી દિલ્હી, તા.૬: શાંતિદૂત તરીકે પંકાયેલા કબૂતરની વિષ્ઠા માણસ માટે જીવલેણ સાબિત થઇ શકે છે એવો એક કિસ્સો પાટનગર નવી દિલ્હીની હોસ્પિટલમાં નોંધાયો હતો. નિષ્ણાત ડોકટરે આપેલી માહિતી મુજબ કબૂતરની વિષ્ઠા સૂકાયા બાદ એવા બેકિટરિયા છોડે છે જે માણસના શરીરના અંગોને દૂષિત કરી શકે છે. એથી થતી બીમારીને એકયુટ હાઇપર સેન્સિટિવિટી ન્યૂમોનાઇટિસ તરીકે ઓળખાવાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ સાથે સંકળાયેલા એક ડોકટરે કહ્યું કે આ બીમારીનો ભોગ બનેલા ઓછામાં ઓછા ૩૦૦ પેશન્ટ દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. આ ડોકટરે વધુમાં કહ્યુ કે આ બેકિટરિયા લીવર, કિડની, હાર્ટ અને ફેફસાંને પ્રતિકૂળ અસર કરે છે અને એ દ્યાતક નીવડી શકે છે. તાજેતરમાં દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળની એક મહિલા મરણ પામી હોવાનો કિસ્સો બન્યો હતો. આ પ્રકારનો આ પહેલો કિસ્સો હતો.