અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના સ્થાન પર એરસ્ટ્રાઇક:100થી વધુ આતંકીઓના મોત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન પોલીસના ટોચના અિધકારીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં કરાયેલા હવાઇ હુમલામાં તાલિબાનના ટોચના કમાન્ડર સહિત 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે અને અનેક ટેંકોનો પણ ખાતમો બોલાવ્યો છે. મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને ટ્વીટ કરીને કહ્યુ હતું કે તાલિબાની આતંકીઓ કોઇ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યા હતા જેની જાણકારી મળી આવતા આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જે આતંકીઓ માર્યા ગયા છે તેમાં તાલિબાનના ટોચના કમાન્ડર ઉપરાંત 10થી વધુ સુસાઇડ બોમ્બરનો પણ સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર જેટલા આતંકીઓ માર્યા ગયા તેનાથી પણ વધુ આ હુમલામાં ઘવાયા છે. તાલિબાન આ વિસ્તારમાં ઘણા સમયથી અફઘાનિસ્તાન સંરક્ષણ અને સુરક્ષા જવાનો પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું અને તેના માટે કેમ્પો પણ નાખ્યા હતા.