રસી લેનાર બાળકોમાં આડઅસર જોવા મળતા નોર્વએ રસીકરણ અટકાવ્યું
નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 26 કરોડને પાર જઇ ચૂક્યો છે. યુએનના જણાવ્યાનુસાર 16% સંક્રમિતોની ઉંમર 20 વર્ષથી ઓછી છે. વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) બાળકોને કોરોનાથી બચાવવા ફાઇઝર સહિત ઘણી રસીઓને મંજૂરી આપી છે. 27 સભ્ય દેશ ધરાવતા યુરોપિયન યુનિયન (ઇયુ) સહિત 100થી વધુ દેશ બાળકો (3થી 11 વર્ષ) અને કિશોરો (12થી 17 વર્ષ)ના રસીકરણને મંજૂરી આપી ચૂક્યા છે. જોકે, તેમાંથી અડધા દેશોમાં તો રસીકરણ શરૂ જ નથી થયું, જેમાં ભારત પણ સામેલ છે. બીજી તરફ નોર્વે, તાઇવાન, પાકિસ્તાન, ક્યુબા સહિત 6 દેશે પહેલો ડોઝ આપ્યા બાદ રસીકરણ અટકાવી દીધું છે, કેમ કે રસી લેનારાં બાળકોમાં હૃદયની ધમનીઓમાં સોજાની સમસ્યા સામે આવી રહી હતી. WHO અગાઉ કહી ચૂક્યું છે કે મધ્યમ અને નિમ્ન આવકવાળા દેશો રસીના પૂરતા સપ્લાય વિના રસીકરણ શરૂ ન કરે. તેમ કરવાથી તકલીફ થઇ શકે છે, કેમ કે ધનિક દેશો પહેલાં પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે.