કોરોના મહામારીના કારણોસર આગામી વર્ષે દુનિયામાં ગરીબી સાથે ભૂખમરાના પ્રમાણમાં ચિંતાજનક વધારો: યુએન
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગ મુજબ કોરોના મહામારીને લીધે આવતા વર્ષે ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં ભારે ભરખમ વધારો થશે. સંસ્થાના જણાવ્યા મુજબ આ વર્ષે જ વિશ્વસ્તરે માનવીય મદદની જરુરિયાત જે રીતે વધી છે એમાં આવતા વર્ષ 2021માં વિશ્વસ્તરે 23.50 કરોડ લોકોને મદદની જરુરત પડે એવુ પૂર્વાનુમાન છે. સંસ્થાએ આ માટે કોરોના વાયરસ જેવી ઘાતક મહામારી અને સંઘર્ષ, પ્રવાસીઓનો પડકાર અને ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળો જવાબદાર ગણાવ્યા હતા.
વિશ્વસ્તરે માનવીય મુદ્દાઓના સમન્વય માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયનું પૂર્વાનુમાન હતું કે આ વર્ષની સરખામણીએ 2021માં 40 ટકા લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઇ જશે જેઓને ખરેખર માનવીય મદદની જરુર પડશે. જોકે સંસ્થાના તાજા રિપોર્ટ મુજબ દુનિયામાં આવા 16 કરોડ લોકોને મદદ માટે 35 અબજ ડોલરનો ખર્ચ થશે, પરંતુ આ વર્ષે હેતુસર આવેલુ દાન 17 અબજ ડોલર પૂરતુ સિમિત છે.