Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સાસુમાને ઘરથી દૂર રાખવા જમાઇરાજે ઘરમાં ઝેરી કરોળિયો પાળ્યો

લંડન તા. ૧૫ : જગતમાં લોકો જાતજાતનાં પાળતુ પ્રાણીઓ રાખવાના શોખીન હોય છે. જોકે કયારેક પાળેલાં પ્રાણીઓ તમને અણગમતાં સાસરિયાંઓથી છુટકારો અપાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક યુઝરે પોતે ટેરેન્ટુલા પ્રજાતિનો એક ઝેરી કરોળિયો પાળ્યો હોવાની વાત શઙ્ખર કરી છે. વાત એમ છે કે આ ભાઈને કરોળિયા પ્રત્યે ખાસ કોઈ લગાવ નથી, પણ તેમને આ કરોળિયો પાળવામાં ખાસ લાભ દેખાયો હોવાથી તેમણે પોતાના ઘરમાં એની ખાસ જગ્યા બનાવી છે.

તેમનાં ટ્રેડિશનલ ચાઇનીઝ સાસરિયાંઓ અને ખાસ કરીને સાસુમા તેમના ઘરે અચાનક જ આગોતરી જાણ કર્યા વિના જ આવી પહોંચતાં હતાં અને પછી દિવસો સુધી ધામા નાખીને રહેતાં હતાં. સાસુમા ઘરે આવે એમાં ભાઈસાહેબને વાંધો નહોતો, પણ એ પછી તેઓ દીકરીના ઘરમાં આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ એવી જોહુકમીઓ પણ કરવા માંડતાં હતાં. જમાઈરાજને એનાથી તકલીફ થતી હતી અને તેમણે વાઇફને અનેક વાર વાત પણ કરી જોઈ. પત્ની પણ જાણે પતિની આ વાતને કાને ધરતી નહોતી. એવામાં ભાઈસાહેબને ખબર પડી કે સાસુમાને કરોળિયાનો ફોબિયા છે.

ખૂણામાં કયાંક કરોળિયો જોઈ જાય તો સાસુમાના હાથપગ ઢીલા થઈ જાય છે અને ચીસાચીસ શરૂ કરી દે છે. બસ, આ વાતનો લાભ લેવા તેણે નક્કી કરી લીધું કે હવે તે ઘરમાં પાળતુ પ્રાણી તરીકે કરોળિયો લઈ આવશે. નવાઈની વાત એ છે કે ખરેખર તે ટેરેન્ટુલા પ્રજાતિનો કરોળિયો ઘરે લઈ આવ્યો. આ ભાઈનું કહેવું છે કે જયારથી આ કરોળિયો ઘરે આવ્યો છે ત્યારથી સાસુમા ઘરે આવ્યાં જ નથી અને એને કારણે મને આ કરોળિયો જીવથીયે વહાલો થઈ ગયો છે.

(3:39 pm IST)