Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોરોનાના ચેપ બાદ માતાના ધાવણનો રંગ લીલો થઈ ગયો

કોરોના વાયરસના વિપિરિત લક્ષણો સામે આવ્યા : કોરોના નેગેટિવ આવતાની સાથે જ દૂધના રંગ સામાન્ય થઈ ગયો હોવાનો મેક્સિકોની મહિલાએ દાવો કર્યો

મેક્સિકો, તા. ૧૩ : કોરોના વાયરસને કારણે લોકોમાં ઘણા બધા લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ એક એવો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી મેડિકલ એક્સપર્ટ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. તાજેતરમાં એક મેક્સિકન મહિલાએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેમના ધાવણનો રંગ બદલાઈને લીલો થઈ ગયો. તેમણે એમ પણ જણાવ્યું છે કે, કોરોના નેગેટિવ થયા બાદ દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો.

એના કાર્ટેજને તેમના પીડિયાટ્રીશિયને જણાવ્યું કે, વાયરસ સામે લડતા શરીરના એન્ટિબોડીઝને કારણે આવું થયું હોય તેવું બની શકે છે. તેમણે કહ્યું છે કે, માતા બીમાર થવા પર દૂધ પર અસર પડે છે, પરંતુ વાયરસની અસરને કારણે વધારે અસર થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લીલા શાકભાજી અથવા દવાઓની અસરને કારણે દૂધનો રંગ બદલાયો છે. જો કે, ડોકટરોએ એનાને કહ્યું હતું કે, તેમના ધાવણથી બાળકને કોઈ ખતરો નથી.

એનાના કહેવા પ્રમાણે, કોરોના વાયરસના લક્ષણો દેખાવાના ચાર દિવસ પહેલા તેમના ધાવણનો રંગ બદલાઈ ગયો હતો. દૂધનું પ્રમાણ પણ ઘટ્યું હતું. તેઓએ પંપની મદદથી દૂધને ફ્રીઝરમાં સ્ટોર કર્યું, પછી ફ્રીઝરમાંથી બહાર કાઢતા દૂધનો રંગ બદલાયો હોવાનું જણાયું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમના શરીરમાં વાયરસ રહ્યો ત્યાં સુધી દૂધ લીલું રહ્યું, તે જોઈને તે વધારે પરેશાન થઈ ગયા. જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર વિશે જણાવ્યું હતું, ત્યારે ઘણી મહિલાઓએ કહ્યું હતું કે તેમની સાથે પણ એવું થઈ રહ્યું છે.

બીજી તરફ, કોરોના પોઝિટિવ હોવાના સમયે પુત્રીને સ્તનપાન કરાવવાના એનાના ડરને પણ ડોકટરો દ્વારા દૂર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે માતાના ધાવણની મદદથી બાળક વાયરસ સામે લડી શકે છે. ચેપને કારણે ડોકટરો સ્તનપાન બંધ કરવાની સલાહ આપે છે. દૂધ અનેક રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. માતાના ધાવણથી બાળકની અંદર વાયરસની એન્ટિબોડી વધે છે.

(7:44 pm IST)