Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિકૃત આનંદ મેળવવા માટે

ક્રૂર નર્સે ૧૨ વર્ષમાં ૫૦૦૦ નવજાત બાળકોની અદલાબદલી કરી નાંખી!

લંડન તા. ૧૧ : ઝામ્બિયાની એક નર્સના આઘાતજનક ખુલાસાએ લોકોને હચમચાવી દીધા છે. આ નર્સે છેલ્લા ૧૨ વર્ષમાં ૫૦૦૦ જેટલા નવજાત બાળકોને જન્મ સાથે જ બદલી નાંખ્યા હતા. એટલે કે હોસ્પિટલમાં એક જ સમયે વધારે બાળકોનો જન્મ થયો હોય તો તે બાળકને તેના સાચા મા-બાપને બદલે બીજા બાળકના મા-બાપને આપી દેતી. આ બધું તે વિકૃત આનંદ ઊઠાવવા માટે કરતી હતી.

એલિઝાબેથ બવાલ્યા મેવેવા નામની નર્સ યુનિવર્સિટી ટીચીંગ હોસ્પિટલ ઝામ્બિયામાં કામ કરતી હતી. તેણે સ્વીકાર્યું કે ૧૯૮૩થી ૧૯૯૫ દરમિયાન ૫૦૦૦ જેટલા બાળકોને સ્વેપ કરી નાંખ્યા હતા. તે અત્યારે કેન્સરથી પીડાઈ રહી છે અને મર્યા બાદ નર્કમાં સડવા નથી માંગતી એટલે તેણે આ વાતનો સ્વીકાર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ ન્યુઝ વાયરલ થઈ ગયા છે.

એલિઝાબેથે સ્વીકાર્યું, 'મને ટર્મિનલ કેન્સર છે અને મને ખબર છે કે હું જલ્દી મરી જવાની છું. હું ભગવાન સામે મારા ગુના કબૂલવા માંગું છું. ખાસ કરીને મેં UTHમાં મારા સેવાકાળમાં જે લોકોના જીવનમાં હલચલ મચાવી છે, તેમની સામે હું મારૂ પાપ કબૂલુ છું. મને ભગવાન મળી ગયા છે અને મારો નવો જન્મ થયો છે, મારી પાસે છૂપાવવા જેવું કશું નથી. મેં UTHના મેટરનિટી વોર્ડમાં ૧૨ વર્ષ સુધી કામ કર્યું ત્યારે મેં ૫૦૦૦ જેટલા બાળકો સ્વેપ કરી નાંખ્યા હતા.'

એલિઝાબેથે સ્વીકાર્યું કે ૧૯૮૩થી ૧૯૯૫ વચ્ચે UTHમાં જન્મેલા બાળકોના કેસમાં શકયતા છે કે તે તેમના બાયોલોજિકલ પેરેન્ટ્સ પાસે ન ઉછર્યા હોય. તેને મજાક ખાતર બાળકોની અદલાબદલી કરવાની આદત પડી ગઈ હતી. તેણે કહ્યું કે તમારા ભાઈ-બહેનને ધ્યાનથી જોજો. જો તેમાં ફેરફાર દેખાય તો હું તેના માટે ખેદ અનુભવુ છું.

તેણે એમ પણ જણાવ્યુ કે તેણે ભગવાનની વિરૂદ્ઘ પાપ કર્યું છે અને ડીએનએ ટેસ્ટ પછી કેટલાંય કપલના છૂટાછેડા થયા છે. તેણે કહ્યું કે કોઈ દૈત્ય આ કામ કરવા માટે તેનો સહારો લેતો હતો. એલિઝાબેથે કહ્યું, 'મારા કારણે ઘણી માતાઓએ એવા બાળકોને દૂધ પીવડાવ્યું છે જે તેમના છે જ નહિ. હું નર્કમાં નથી જવા માંગતી. મેં ઘણા પાપ કર્યા છે, મને મફ કરો.' જો કે પ્રારંભિક તપાસમાં આ નામની કોઈ નર્સ UTHમાં કામ કરતી હોવાનું સામે આવ્યું નથી.

(10:17 am IST)