Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

લાંબુ જીવવું છે?..'બેસવાનુ છોડી'ને રોજ ૩૦ મીનીટ માટે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો

વોશિંગ્ટનઃ એક નવા અભ્યાસમાં કહેવાયુ છે કે જીમની ખર્ચાળ મેમ્બરશીપ કે મેરેથોન દોડ તંદુરસ્ત રહેવા માટે ખાસ જરૂરી નથી ફકત રોજ અડધી કલાક માટે બેસી રહેવાના બદલે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો.

ઘણા બધા રિસર્ચોનું તારણ છે કે વધારે પડતુ બેસી રહેવાથી ઘણા બધા આરોગ્ય વિષયક જોખમો જેમ કે હૃદયરોગથી માંડીને વહેલા ઘરડા થવા સુધીની તકલીફો ઉભા થાય છે, પણ અમેરિકન જર્નલ ઓફ એપીડેમીઓ લોજીમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસપત્રમાં જણાવાયુ છે કે દિવસમાં ફકત ૩૦ મીનીટ માટે બેસી રહેવાના બદલ કોઈ પણ પ્રકારનું હલન ચલન લાંબુ જીવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે બેસી રહેતી વ્યકિત જો ૩૦ મીનીટ માટે ચાલવા જેવી સામાન્ય પ્રવૃતિ કરે તો પણ તેની વહેલા મરવાની શકયતાઓ ૧૭ ટકા જેટલી ઘટી જાય છે. જેમ તમારૂ હલનચલન વધારે ઝડપી તેમ આ શકયતાઓમાં વધારે ઘટાડો થાય છે. આટલી જ મીનીટની દોડથી આ શકયતા ૩૫ ટકા સુધી ઘટી જાય છે.

અભ્યાસના સહલેખક અને કોલંબીયા યુનિવર્સિટીના ઈરવીંગ મેડીકલ સેન્ટરમાં બીહેવીઅરલ મેડીસીનના આસી. પ્રોફેસર કીથ ડીઆઝ કહે છે આ જગતનો નિયમ છે કે તકલીફ વગર કંઈ નથી મળતું. એટલે તમારે તંદુરસ્તી મેળવવી હોય તો થોડી તકલીફ તો લેવી પડે. આ એકસરસાઈઝ માટે તમારે સતત અડધો કલાક ચાલવાની પણ જરૂર નથી. તમે થોડા થોડા સમયે તમારા ઘરમાં, ઓફિસમાં પણ થોડી થોડી વાર ચાલી શકો છો.

જો કે ડીઆઝ અને તેના જોડીદારોનું કહેવું છે કે આનાથી વધારે ચાલવુ વધારે ફાયદાકારક છે. તેમના કહેવા અનુસાર જો અડધા કલાકને બદલે એક કલાક ચાલવામાં આવે તો ફાયદો ડબલ થઈ જાય છે. જો કે તેમણે એમ પણ કહ્યુ કે આનો પણ એક ટીપીકલ પોેઈન્ટ છે. જેમ કે તમે સાડા ત્રણ કલાક દિવસ દરમ્યાન મુવમેન્ટ કરો ત્યાર પછી ગમે તેટલી મુવમેન્ટથી પણ ફાયદામાં ખાસ વધારો નથી જોવા મળતો.(ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(3:19 pm IST)