Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાણો છો, રાતે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું કેમ જરૂરી છે ?

મધરાત સુધી જાગવા અને સૂરજ માથે ચડે ત્યારે ઉઠવાની આદત હોય તો હાર્ટ-ડિસીઝ અને ટાઇપ ટૂ પ્રકારનો ડાયાબિટીઝ થવાનું જોખમ વધી જાય છે

ન્યુયોર્ક, તા. ૬ : આયુર્વેદમાં પણ વહેલા સૂવું અને વહેલા ઉઠવું એ સ્વસ્થ રહેવાની ગુરૂચાવી કહેવાઇ છે. આ જ વાતની સત્યતા પર પશિચમના દેશોએ પણ સંશોધનો અને પુરાવાઓ પછી મહોર મારી છે. જો તમે રાતના રાજા હો તો અમેરિકાના સંશોધકોના અભ્યાસને ગંભીરતાથી લેવાની જરૂર છે. મધરાત સુધી જાગવા અને સુરજ માથે ચડે ત્યારે ઉઠવાની આદત હોય તો હાર્ટ-ડિસીઝ અને ટાઇપ ટૂ પ્રકારનો ડાયાબિટીઝ થવાનું જોખમ વધી જાય છે.

અમેરિકાની નોર્ધમ્બ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ તારવ્યું છે. વહેલા સૂઇને વહેલા ઉઠનારા તેમજ મોડી રાત સુધી જાગનારાઓને તેમની આદતને કારણે સ્વાસ્થ્યમાં શું અસર થાય છે એ આ સંશોધકોએ તપાસ્યું હતું. જેમ સૂર્યનું દિવસ-રાતનું ર૪ કલાકનું એક ચક્ર છે. એમ આપણા શરીરની અંદર પણ એક કલાક છે જે ર૪ કલાકના ચક્ર મુજબ ચાલે છે જેને સર્કાડિયન રિધમ અથવા તો ક્રોનોટાઇમ કહેવાય છે. આ રિધમ મુજબ શરીરના તમામ ફંકશન્સ કામ કરે છે. એ તમને કયારેખાવું, કયારે સૂવું, કયારે જાગવું જેવી બાબતોનું નિયંત્રણ કરે છે.

વ્યકિતની ક્રોનોટાઇપ કેવી છે એ મુજબ તેનો કુદરતી રીતે સૂવા-ઉઠવાનો ક્રમ નિશ્ચિત કરે છે જે લોકોનો કુદરતી કામ જ સાંજ પછી વધુ એકટીવ થવાનો હોય છે તેમને હાર્ટ-ડિસીઝ અને ટાઇપ ટૂ પ્રકારનો ડાયાબિટીઝ થવાની સંભાવના વધુ હોય છે. જે લોકો મોડા સૂવા જાય છે તેમની ખાવા-પીવાની આદતો અનહેલ્ધી હોય છે. તેઓ વધુ આલ્કોહોલ, શુગર અને કેફીનેટેડ પીણાં લે છે. બોડીની રિધમ વહેલી સવારથી મોડી સાંજ સુધી એકિટવ રહેતી હોય એવા લોકોની ડાયટ-એકસરસાઇઝની પસંદ નેચરલી જ હેલ્ધી હોય છે જયારે રાતના રાજાઓમાં અનહેલ્ધી આદતો વધુ વણાયેલી હોવાથી તેમને અર્લી રાઇઝર્સ કરતા હાર્ટ-ડિસીઝ અને ડાયાબિટીઝ થવાનું જોખમ અઢી ગણું વધારે હોય છે. (૮.૧૯)

(4:05 pm IST)