Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જો આ રીતે કરતા હશો ઉપવાસ તો વજન ઘટવાની જગ્યાએ વધશે

વજન ઉતારવા માટે ઉપવાસ કરો છો?

નવી દિલ્હી તા. ૫ : ઉપવાસના આમ તો અનેક ફાયદા છે. ઉપવાસ રાખવાથી આપણા શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ફળ, શાક અને જયુસના સેવનથી શરીરને યોગ્ય પોષણ પણ મળે છે. કેટલાક લોકો ફકત આસ્થા માટે ઉપવાસ રાખે છે. તો કેટલાક લોકો વજન ઓછું કરવા પણ ઉપાવસનો ડાયેટ પ્લાન અપનાવે છે.

જોકે કેટલાક નિષ્ણાંતોએ આવા લોકોને ચેતવતા કહ્યું છે કે, વજન ઘટાડવા માટે ઉપવાસ એકદમ જ ખોટી ધારણા છે. ઉપવાસથી વજન ઘટવાની શકયતા ખૂબ ઓછી થઈ જાય છે. તેનાતી ઉલ્ટાનું શરીરનું મેટાબોલિઝમ ખોરવાઈ જાય છે. જેના કારણે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે.

વજન ઓછું કરવા માટે ઉપવાસ રાખનાર વ્યકિત જયારે નિયમિત ખોરાક શરુ કરે છે ત્યારે શરીર પોતાના માટે જરુરી પોષક તત્વો મેળવવા સતત પ્રયાસ કરે છે. પરંતુ મેટાબોલિઝમ યોગ્ય ન હોય ખોરાક યોગ્ય રીતે પચવાની જગ્યાએ ફેટ તરીકે જમા થવા લાગે છે અને શરીર તેને જરુરી ગણી જમા થવા દે છે.ત્યારે વજન ઓછું કરવાના આશય સાથે કરેલો ઉપવાસ વજન ઘટાડવાની જગ્યાએ વધારે છે. આ માટે વજન ઓછું કરવા આડેધડ ઉતાવળ કરવાની જગ્યાએ ધીમે ધીમે લાંબાગાળાનો પ્લાન અમલમાં મૂકવો જોઈએ. ઉપવાસ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના બીજા પણ કેટલાક નુકસાન થાય છે. ત્યારે ખૂબ જ જરુરી બની જાય છે કે તમે જાણો કે ઉપવાસ કરવાની સાચી રીત કઈ છે.

ઉપવાસ દરમિયાન એનર્જી લેવલ ખૂબ ઓછું હોય છે માટે આ સમયે હાર્ડ એકસર્સાઇઝથી દૂર રહેવું જોઈએ. આ દરમિયાન ખુબ જ હળવી એકસર્સાઈઝ કરવી જોઈએ નહીંતર શરીરને નુકસાન થઈ શકે છે.

ઉપવાસ દરમિયાન તમારી હેલ્થને ખૂબ જ ફાયદો થઈ શકે છે જો તમે હેલ્ધી ખોરાક ખાવ તો. ઉપવાસમાં તાજા ફળ અને તેના જયુસનું સેવન કરવું જોઈએ. તેમજ દરેક વખતે પોતાને હાઈડ્રેડ રાખવા માટે ખૂબ પાણી પીવું જોઇએ. ઉપવાસમાં કયારેય તળેલા પદાર્થો ખાવા જોઈએ નહીં.

ઉપવાસ બાદ જેવું તમે ખાવાનું શરુ કરો છો કે તરત તમને ખૂબ ભૂખ લાગે છે. ત્યારે તેના પર કંટ્રોલ કરવો ખૂબ જરુરી છે. એકસાથે ખાવાથી હેલ્થ તો ખરાબ થાય જ છે સાથે સાથે વજન પણ એકદમ વધવાની શકયતા છે. માટે ધીરે ધીરે અને થોડા થોડા કલાકોના અંતરે ખોરાક ખાવો જોઈએ.

(4:25 pm IST)