GST કાયદામાં નિકાસકારોને ઇ-વે બીલમાંથી મુકિત આપોઃ ચેમ્બર
રાજકોટ તા. રરઃ GST કાયદામાં નિકાસકારોને ઇ-વે બીલની જોગવાઇ સાથે સાંકળવામાં આવતા નિકાસકારોને ઘણી મુશ્કેલી ભોગવવી પડતી હોય ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ દ્વારા આ બાબત રાજયના GST ચીફ કમિશ્નર પી. ડી. વાઘેલાના ધ્યાન પર મુકી નિકાસકારો દ્વારા વિદેશ મોકલાતા માલના કન્ટેઇનરોને ઇ-વે બીલમાંથી મુકિત આપવા રજુઆત કરેલ છે.
રજુઆતમાં જણાવ્યું છે કે, નિકાસકારો દ્વારા જે માલ વિદેશ મોકલવામાં આવે છે તે માલના કન્ટેઇનરો કેન્દ્રની વિદેશ વેપારનિતિ મુજબ રેડીયો ફ્રીકવન્સી આઇડેન્ટીફીકેશન અને કસ્ટમ્સ દ્વારા ચકાસણી બાદ સીલ કરવામાં આવે છે. તેથી માલના પ્રોપર બીલીંગ પ્રોસેસ અને કન્ટેઇલનર લીકેજ પર ઘણો કન્ટ્રોલ રહે છે. આ સંજોગોમાં ઇ-વે બીલ તૈયાર કરવાની કોઇ જરૂરીયાત રહેતી નથી.
કેન્દ્ર અને રાજય સરકાર વિદેશ વેપારના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અમલી બનાવે છે. ત્યારે નિકાસકારો ઇ-વે બીલની પરેશાની માંથી મુકત થાય તે માટે ઓને ઇ-વે બીલની જોગવાઇથી મુકત કરવા તાત્કાલિક યોગ્ય કરવા રજુઆતના અંતમાં ચેમ્બરે જણાવ્યું છે.