શુદ્ધ કાઠિયાવાડી ઘોડાઓના ડી,એન,એ ટેસ્ટ અને તમામના પાસપોર્ટ બનાવાશે
કાઠિયાવાડી ઘોડાઓના સંવર્ધન માટે ‘નેશનલ સ્ટડબૂક ઓફ કાઠીયાવાડી હોર્સીસ’ દ્વારા અનોખી પહેલ :નોંધણી શરુ
અમદાવાદ : શુદ્ધ કાઠીયાવાડી ઓલાદનાં ઘોડાઓનાં સંવર્ધન માટે રાજ્ય સરકાર અને કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી લી. (ગોંડલ)ના સંયુક્ત ઉપક્રમેઅનોખી પહેલ કરાઈ છે બંનેના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ સ્ટડબૂક ઓફ કાઠીયાવાડી હોર્સીસ’ બનાવાઈ રહી છે જે અંતગર્ત આ ઘોડાની નોંધણીની સાથે ભવિષ્યમાં આ ઘોડાઓના ડી.એન.એ ટેસ્ટ પણ કરવામાં આવશે અને આ તમામ ઘોડાઓના પાસોપોર્ટ પણ બનાવવામાં આવશે.
શુદ્ધ ઓલાદના કાઠીયાવાડી ઘોડાઓની નોંધણી માટે ‘નેશનલ સ્ટડબૂક ઓફ કાઠીયાવાડી હોર્સીસ’ બનાવવામાં આવી રહી છે. આ કાર્ય માટે ‘કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશિયેશન’ નામનું ટ્રસ્ટ બનાવવમાં આવ્યુ છે. આ ટ્રસ્ટ અને રાજ્ય સરકાર બંને મળીને શુદ્ધ ઓલાદના કાઠીયાવાડી ઘોડાના સંવર્ધન માટે અને સ્ટડબૂક બનાવવા માટે કામ કરી રહ્યાં છે. આ ટ્રસ્ટ સરકાર માન્ય ગણાશે અને આ સ્ટડબૂક સરકાર દ્વારા પ્રમાણિત ગણાશે.
આ અંગે માર્ચ, 2019 સુંધીમાં સમગ્ર રાજ્યમાં શુદ્ધ કાઠીયાવાડી ઘોડાઓની નોંધણી પુરુ થઇ જશે. આ દરમિયાન,જે ઘોડાઓની શુદ્ધ ઓલાદ (પ્યોર બ્રીડ) તરીકે નોંધણી થઇ છે તે તમામ કાઠીયાવાડી ઘોડાઓમાં એક માઇક્રોચીપ લગાવવામાં આવશે. આ માટે એક ઓસ્ટ્રેલિયન કંપની સાથે વાત ચાલી રહી છે. આ માઇક્રોચીપ ઘોડાની ગરદન પર લગાવવામાં આવશે. આ માઇક્રોચીપમાં 15 આંકડાનો યુનિક (વિશેષ) નંબર હશે”.તેમ જણાવાયું છે
‘નેશનલ સ્ટડબૂક ઓફ કાઠીયાવાડી હોર્સ’ નું કાર્ય દરેક જિલ્લાનાં કાઠીયાવાડી અશ્વોની નોંધણી કરવાનું છે. અત્યાર સુધીમાં અમરેલી, પોરબંદર, જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય નો એક રાઉન્ડ પુરો થઇ ગયો છે અને 140થી વધુ શુધ્ધ ઔલાદના કાઠીયાવાડી અશ્વોની વંશાવળીની આ સ્ટડબુકમાં નોંધણી કરવામા આવી છે.