ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને પડશે જલ્સા : રાજ્ય સરકાર કરાવશે મફતમાં 10 દિવસની ગુજરાત યાત્રા - ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
ગાંધીનગરઃ ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને જલ્સા પડી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. તમે જો ગુજરાતની બહાર રહેતા હોવ અને ગુજરાત ફરવા આવવાનું નક્કી રહ્યા હોવ તો તમારા માટે રાજ્ય સરકાર એક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર એક એવી સ્કીમ લાવી રહી છે જેના થકી ગુજરાત પ્રવાસ માટે તમારે ખિસ્સામાંથી એક રૂપિયો પણ નહીં કાઢવો પડે.
દેશના અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે નવી એક સ્કીમ શરૂ કરી છે. જે અંતર્ગત લાંબા સમયથી બીજા રાજ્યોમાં રહેતા અને પ્રત્યક્ષ રીતે ગુજરાતના કલ્ચર અને હેરિટેઝથી વાકેફ ન હોય તેવા NRG યુવકોને રાજ્ય સરકાર મફતમાં 10 દિવસની ગુજરાત ટૂર સ્પોન્સર કરશે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્કીમની જાહેરાત કરતા કહ્યું કે, “વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.હવે ગુજરાતીઓના કલ્ચર અને હેરિટેઝનો પરિચય અપાવવા માટે રાજ્ય સરકારે નવી સ્કીમ રજૂ કરી છે અને દેશના વિવિધ રાજ્યોમાં રહેતા નોન રેસિડન્ટ ગુજરાતી યુવકોને 10 દિવસની ગુજરાત ટૂર કરાવશે.”