ઉપવાસના બીજા દિવસે ડો. પ્રવીણ તોગડિયાની તબિયત લથડીઃ અનેક સંતો-મહંતો અને આગેવાનો મુલાકાતે
અમદાવાદઃ ચૂંટણીમાં પરાજય બાદ ડો. પ્રવીણ તોગડિયા ગઇકાલથી અમદાવાદમાં ઉપવાસ ઉપર બેઠા છે અને આજે બીજા દિવસે તેઓની તબિયત લથડતા તબિબોએ તેઓને આરામ કરવાની સલાહ આપી છે.
તેમનું મેડિકલ ચેકઅપ કરતાં બ્લડપ્રેશર અને સુગર લેવલ હાઈ હોવાનું રિપોર્ટમાં જણાયું છે. તબીબોએ તેમને વધુ ન બોલવા અને આરામ કરવા સલાહ આપી છે. તો આજે બીજા દિવસે વિવિધ સંગઠનોના લોકો તેમને મળવા આવી રહ્યાં છે. મસ્કતી માર્કેટના વેપારીઓએ તોગડિયાને સમર્થન આપ્યું છે. તો નારી શક્તિ મંચની મહિલાઓએ પણ તેમની મુલાકાત લીધી હતી. ઉપવાસ સ્થળે થાનના ખોડિયાર મંદિરના મહંત અલખગિરી મહારાજ તોગડીયાને મળવા પહોંચ્યા હતા. તો મધ્યપ્રદેશથી અક્ષયવિહારી સ્વામી પણ આવ્યા.
આજે ઉપવાસના બીજા દિવસે પ્રવીણ તોગડિયાએ રામમંદિર માટે સંસદમાં કાયદાનો આગ્રહ કરવાના ત્રણ કારણો જણાવ્યાં. તેમણે કહ્યું કે ભાજપે સંસદમાં કાયદો બનાવવાનું વચન આપ્યું હતું. સવાલો ઉઠાવીને કહ્યું કે હિંદુઓને રામમંદિર માટે 1100 ચોરસ મીટર જમીન મળશે એની સાથે જ 67 એકર જમીન મુસલમાનોને મળી જશે. તેમણે તેના નવા અભિયાનની જાહેરાત કરીને કહ્યું તે તેઓ કરોડો ગરીબ હિંદુઓને ઈલાજ માટે મદદ કરીશ. જે માટે ઇન્ડિયા હેલ્પ લાઈન શરૂ કરાશે. અને આ માટે 10 હજાર જેટલા તબીબોનો સંપર્ક કર્યો છે.