ગુજરાત
News of Saturday, 31st October 2020

અમદાવાદ : છેતરપિંડીના કેસમાં ટ્રાવેલ્સ કંપનીને વ્યાજ સહિત રિફંડ અને વધારાની રકમ ચુકવી પડશે

8 ટકા ટકા વ્યાજ સાથે 30 દિવસમાં રિફંડ ચુકવવું પડશે ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદો

અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમે છેતરપિંડીના કેસમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીને વ્યાજ સહિત રિફંડ અને વધારાની રકમ ચુકવવા ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે.પ્રવાસને લગતી ઘણી લોભામણી લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે ત્યારે ‘જુકાસો જર્ની પ્રાઇવેટ લિમિટેડ’  નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની એ અમદાવાદના રહીશ વિરલ શાહપાસેથી હોટેલ બુકિંગના એડવાન્સ પૈસા ઓનલાઇન ભરાવી લીધા હતા.પરંતુ પ્રવાસે ગયા બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેથી વિરલ શાહે ગ્રાહક ફોરમમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની સામે કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી કરતા ફોરમે ‘જુકાસો જર્ની પ્રાઇવેટ લિમિટેડ’ને 30 દિવસની અંદર ગ્રાહકને રકમ ચુકવી દેવા આદેશ કર્યો છે.

અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમએ  સુવિધા ન આપી રિફંડ પણ ન કરવાના કેસમાં ટ્રાવેલ્સ  કંપનીને રિફંડની પુરી રકમ 8 ટકા વ્યાજ સાથે ઉપરાંત હેરાનગતિ અને તકલીફ બદલ પણ 4 હજાર રૂપિયા વધારાના ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ જુકાસો જર્ની પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ વર્ષ 2017માં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા વિરલ શાહને બેંગ્લોર – ઉટી – મૈસુરના 7 દિવસના હોલી-ડે પેકેજની લાલચ આપી હતી.  ત્યારબાદ વિરલ શાહ પાસેથી ઓનલાઈન ટુકડે ટુકડે 22,000 રૂપિયા હોટલ બુકીંગ પૈકી ભરાવ્યા હતા.

અરજદાર વિરલ શાહ જ્યારે તેમના પરિવાર સાથે બેંગલોરની બુક કરાયેલી હોટેલમાં ગયા ત્યાં તેમને આંચકો લાગ્યો હતો. હોટલ સ્ટાફે તેમની પાસેથી બુકિંગ પૈકી 18,766 રૂપિયા માગ્યા હતા. જેથી વિરલ શાહે  ટ્રાવેલિંગ કંપનીને ફોન કરી હોટલ સ્ટાફ બુકિંગ માટે પૈસા માંગતો હોવાની જાણ કરી હતી.Travels

ટ્રાવેલિંગ કંપનીએ જો કે કઈ જ ન કરતા અરજદારને ડબલ વખત પૈસા ચૂકવવાનો વારો આવ્યો હતો. વિરલ શાહ પરિવારના પ્રવાસની મજા બગાડવા માંગતા ન હોવાથી હોટેલમાં ફરી પૈસા ભર્યા હતા. પરંતુ તેમણે અમદાવાદ પરત આવી ટ્રાવેલિંગ કંપનીને પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો હતો.વિરલ શાહે ટ્રાવેલિંગ કંપનીએ હોટલ બુકિંગ અને અન્ય ચાર્જની રકમ રિફંડ મેળવવા માટે અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં અરજી દાખલ કરી હતી.

અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમે ચુકાદો આપતા નોંધ્યું કે ટ્રાવેલ્સ કંપનીને જ્યારે નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં કોઈ જવાબ આજ દિવસ સુધી આપવામાં આવ્યો નથી.

(11:20 pm IST)