ગુજરાત
News of Saturday, 31st October 2020

આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે સરદાર સાહેબ ન હોત તો જૂનાગઢ અને હૈદરાબાદ દેશના નકશામાં ન હોત : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પ્રાંત જાતિ ભાષા ધર્મના ભેદ ભાવ ન રહે તેવું એક રાષ્ટ્ર - શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ નો સૌ સંકલ્પ કરીએ : સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ ગાંધીનગરમાં સરદાર પ્રતિમા સમક્ષ ભાવ વંદના કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ દેશમાં પ્રાંત, જાતિ, ધર્મ, ભાષા અને જ્ઞાતિનો કોઈ ભેદભાવ ન રહે અને એક રાષ્ટ્ર - શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવો સંકલ્પ સૌ કરીએ તેમ જણાવ્યું છે.

ગાંધીનગર ખાતે અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ સરદાર પ્રતિમા સમક્ષ મુખ્ય મંત્રીશ્રી એ પુષ્પાજંલિ અર્પણ કરીને  ભાવ વંદના કરી હતી. 

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે   મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશ માટે  સરદાર સાહેબ ના  યોગદાન નું સ્મરણ કરતાં  દેશવાસીઓમાં ઐક્યનો ભાવ વધુને વધુ પ્રસરે અને સૌ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરવાની દિશામાં આગળ વધે તેવું આહવાન કર્યું હતું. 

         વિજયભાઈ રૂપાણી એ ઉમેર્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકેની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. તે પરંપરા આજે પણ ચાલું છે. 

 કેવિડયા ખાતે દેશના વડાપ્રધાનશ્રી રાષ્ટ્રીય  એકતા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. તેની સાથે સાથે ગુજરાતના વિવિધ સ્થળો એ પણ ગુજરાતના સપૂત અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ પુષ્પાજંલિ  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

      મુખ્યમંત્રીશ્રીએ આજના અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા  જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ અને  હૈદરાબાદ ભારતના નકશામાં ન હોત અને આજે દેશનો નકશો કંઇક જુદો જ હોત.

  શ્રી વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે તે સમયે કાશ્મીરની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી ન હતી અને કાશ્મીર ની સમસ્યા જે અત્યાર સુધી રહી તેને  ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ દૂર કરી અને  હવે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે. આતંકવાદ નો પણ ત્યાં સફાયો થયો છે. 

        આ પુષ્પાજંલિ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રીટાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી વાડીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલ વગેરે એ પણ સરદાર સાહેબ ને અંજલિ આપી હતી.

 ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી રતનકંવર ગઢવીચારણ, અધિક નિવાસી કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી જે.એમ.ભોરણિયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.એસ.દવે સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(4:30 pm IST)